Surat City News: ખાડીપૂરનાં પાણી ઉતર્યા પછી હવે સુરતના લોકોને સતાવી રહ્યો છે રોગચાળાનો ભય

ખાડીપૂર બાદ હવે શહેરીજનોને સતાવી રહી છે રોગચાળાની ચિંતા

Surat City News: ખાડીપૂરનાં પાણી ઉતર્યા પછી હવે સુરતના લોકોને સતાવી રહ્યો છે રોગચાળાનો ભય
After the flood water, the people of Surat are now suffering from the threat of an epidemic
| Edited By: | Updated on: Jul 21, 2021 | 12:32 PM

Surat City News: કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં પણ સુરત મહાનગરપાલિકા(surat municipal corporation) માટે દર વર્ષે ખાડી  પૂરની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. સામાન્ય રીતે સુરત શહેર દર ચાર વર્ષે તાપી(Tapi) પુરનો સામનો કરે છે એવી એક માન્યતા છે. પણ હવે દર વર્ષે આવતા ખાડીપૂર સુરત મનપા માટે માથાનો દુખાવો બની ગયો છે. બે દિવસ પહેલા ધોધમાર વરસેલા વરસાદ બાદ શહેર આખું પાણીમાં ઘમરોળાયું હતું. તેમાં પણ શહેરના ખાડી કિનારે આવેલા  વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અહીંના લોકોને ઘરોમાં જ કેદ થવાનો વારો આવ્યો હતો.

બે દિવસ પહેલા વરસેલા વરસાદથી શહેરની મીઠી ખાડી અને સીમાડા ખાડી ઓવરફ્લો થઇ હતી. અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઇ ગયા હતા. કલાકો સુધી પણ અહીં પાણી ઓસર્યા ન હતા. હવે જયારે ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે ત્યારે પાણી ઓસરવાની શરૂઆત થઇ છે. પરંતુ ગંદકી પારાવાર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે લીંબાયતના પર્વત પાટિયા, પુના ગામ, કમરુનગર, મારુતિનગર, વામ્બે કોલોની, સરસ્વતી વિદ્યાલય સહિતના વિસ્તારોમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા હોવાના કારણે હવે અહીં ગંદકી અને રોગચાળાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પર્વત ગામમાં ડિવોટરિંગ પમ્પ મૂકીને પાણી કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ પાણી ઓસર્યા પછી ગંદકીથી ખદબદતા વિસ્તારમાં લોકોને રોગચાળાનો ડર  સતાવી રહ્યો છે. સ્થાનિક વિપુલ પટેલનું કહેવું છે કે તંત્રે આ વર્ષે પૂર નહિ આવે તેવી ખાતરી આપી હતી. છતાં આ વર્ષે 5 ઇંચ વરસાદમાં પાણી આવી ગયું છે. બીજી બાજુ પાણી તો ઉતરી ગયા છે છતાં પાલિકા તરફથી કોઈ જોવા આવ્યું નથી. સોસાયટીઓમાં હજી ગંદકી જોવા મળી રહી છે. કોરોના તો જતો રહ્યો પણ હવે અમને બીજો રોગચાળો ન ફેલાય તેની બીક લાગી રહી છે. અમે પાલિકાને વિનંતી કરીએ છીએ કે આ વિસ્તારમાં તાકીદે સફાઈ અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવે.

અન્ય એક સ્થાનિક ઉર્મિલા વઘાસીયાનું કહેવું છે કે સુરત કોર્પોરેશનને તાજેતરમાં જ સ્માર્ટ સિટીનો(smart city) એવોર્ડ પ્રાપ્ત થયો છે. પણ નજીવા વરસાદમાં જ અમારા આ હાલ થઇ ગયા છે. અમે આશા રાખીએ છે કે સુરત મનપા અમારી વ્યથા સાંભળે અને અમારી ફરિયાદોનું નિરાકરણ લાવે.