હવે કરફ્યુમાં કામ વગર નિકળ્યા તો પુરાઈ જશો, રાત્રી કરફ્યુનો અમદાવાદમા કડકાઈથી અમલ

|

Apr 27, 2021 | 8:32 AM

પોલીસ દ્વારા નિર્ધારિત કરાયેલા આવા લાલ, લીલા અને પિળા રંગના સ્ટીકર સિવાયના કોઈ પણ વાહનને રાત્રી કરફ્યુ ( night curfew ) દરમિયાન આવવા જવા દેવામાં નહી આવે.

કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે અમદાવાદ સહીત ગુજરાતના વીસ મોટા શહેરોમાં રાત્રી કરફ્યુ ( night curfew ) લગાવ્યો છે. પરંતુ રાત્રી કરફ્યુમાં પણ કેટલાક લોકો અવનવા બહાના બતાવીને બહાર નિકળતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યુ છે. આથી અમદાવાદ શહેરના ઝોન 4માં પોલીસે સ્ટીકર પ્રથા શરૂ કરી છે. પોતાના વાહનોમાં જો સ્ટકર હશે તો જ રાત્રી કરફ્યુમાં આવવા જવા દેશે અન્યથા કરફ્યુ ભંગના ગુનામાં જેલવાસ ભોગવવો પડશે.
અમદાવાદ પોલીસે વિવિધ પ્રકારની આવશ્યક સેવાઓને તેમની સેવાના પ્રકારને ધ્યાને લઈને ત્રણ રંગના સ્ટીકર છપાવ્યા છે. આ સ્ટીકર જે તે આવશ્યક સેવા સાથે સંકલાયેલ વ્યક્તિના વાહનમાં લગાવાશે. અને સ્ટીકર વગરના વાહનમાં નિકળ્યા તો વાહન જપ્ત કરવાની સાથે કરફ્યુ ભંગનો ગુન્હો દાખલ કરીને કારાગૃહમાં પુરવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનરના તાબામાં આવતા વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોમાં વિવિધ ત્રણ રંગના સ્ટીકરની વહેચણી કરી દેવાઈ છે. જેમાંથી અમદાવાદના ઝોન 4ના ડીસીપી ગત રાત્રીએ ખુદ રાત્રી કરફ્યુ દરમિયાન રોડ ઉપર ઊભા રહીને વાહન ચાલકોને રોકીને પુછપરછ કરવા સાથે આઈકાર્ડ ચેક કરીને સ્ટીકલ લગાવ્યા હતા.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હદમાં ઝોન-4 હેઠળના વિસ્તારોમાં પોલીસે શરૂ કરેલ આ પ્રકારની કામગીરીમાં આવશ્યક સેવાઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચી દીધી છે. જેમાં મેડીકલ સેવા સાથે સંકળાયેલા તબીબો, નર્સ ઉપરાંત પેરમેડિકલ સ્ટાફૃ, ઓક્સિજન, તબીબી સાધનો અને દવા લઈ જતા વાહનો પર લાલ કલરની સ્ટીકર લગાવવામાં આવશે.
જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે ખાદ્ય સામગ્રી, શાકભાજી, ફળફળાદી, દૂધ, પેકિંગ ફૂડની હેરફેર સાથે સંકળાયેલા વાહનો ઉપર લીલા કલરના સ્ટીકર લગાવવામાં આવશે. જ્યારે કરફ્યુના જાહેરનામાની અંદર જે કામગીરી કે સેવાઓને આવશ્યક સેવા ગણી છે તેવા નોકરીયાતો જેવા કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી , ટોરેન્ટ પાવરના કર્મચારી, ટેલિફોન સર્વિસ અને મીડિયા સાથે સંકળાયેલા કર્મચારીઓના આવવા જવા માટેના વાહનો ઉપર પીળા કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે.
પોલીસ દ્વારા નિર્ધારિત કરાયેલા આવા લાલ, લીલા અને પિળા રંગના સ્ટીકર સિવાયના કોઈ પણ વાહનને રાત્રી કરફ્યુ દરમિયાન આવવા જવા દેવામાં નહી આવે. અને વાહન ચાલક સામે રાત્રી કરફ્યુના ભંગ અંગેનો ગુન્હો દાખલ કરી વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

 

Next Video