સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના પાકની આવકો મોટા પ્રમાણમાં શરુ થઈ છે. રવિ સિઝનમાં ઘઉંનુ ઉત્પાદન મબલખ પ્રમાણમાં થયુ છે. જેને લઈ માર્કેટયાર્ડોમાં હાલમાં ખેડૂતોની ભીડ જામી છે. વહેલી સવારથી જ ખેડૂતો ઘઉંનો પાક વેચવા માટે માર્કેટ યાર્ડમાં ઉમટતા હોય છે. હાલમાં ઘઉંના ભાવો સારા મળી રહ્યા છે. 900 રુપિયા થી પણ વધારે ભાવ ઘઉંના પાકમાં પ્રતિ 20 કીલોએ મળી રહ્યા છે.
હિંમતનગર માર્કેટયાર્ડ હાલમાં ઘઉંના ઉત્પાદનને વેચવા માટે આવતા ખેડૂતોથી ભરાયેલુ જોવા મળી રહ્યુ છે. મોટા પ્રમાણમાં ઘઉંની આવક હાલમાં હિંમતનગરમાં નોંધાઈ રહી છે. જિલ્લામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ઘઉંના પાકનુ વાવેતર થયુ હતુ. જેને લઈ હાલમાં ઘઉંના પાક સાથે ખેડૂતો માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. બીજી તરફ ઘઉંના પાકના ભાવ પણ સારા મળવા લાગ્યા છે.
હાલમાં કમોસમી વરસાદમાં પલળ્યા વિનાના ઘઉંના ભાવ 900 રુપિયાથી વધારે પહોંચ્યા છે. શનિવારે સપ્તાહના અંતિમ દિવસે ઘઉંના ભાવ 900 કરતા વધારે બોલાયા હતા. પાછળના ત્રણ ચાર દિવસ આ ભાવ 850ની આસપાસ રહ્યા હતા. કમોસમી વરસાદમાં અસર પામેલા ઘઉંના ભાવ હાલામં 400 થી 500 રુપિયાની બોલાઈ રહ્યા છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં હાલમાં ઉત્તર ગુજરાતના અનેક ખેડૂતો ઘઉંનુ ઉત્પાદન વેચવા માટે આવી રહ્યા છે. હિંમતનગરમાં પ્રતિદીન હાલમાં 14 હજાર બોરી ઘઉંની આવક નોંધાઈ રહી છે. આસપાસના જિલ્લાના ખેડૂતો પણ અહીં ઘઉં વેચવા માટે આવી રહ્યા છે. સારા ભાવ મળવાને લઈ ખેડૂતો હિંમતનગરમાં ધસારો દાખવી રહ્યા છે.
હિંમતનગર માર્કેટયાર્ડના એડવાઈઝર મણીભાઈ પટેલે Tv9 સાથેની વાતચિત દરમિયાન બતાવ્યુ હતુ કે, હાલમાં 14 હજાર બોરી ઘઉંની આવક પ્રતિદીન નોંધાઈ રહી છે. પ્રતિ 20 કિલો ઘઉંના ભાવ 900 રુપિયા મહત્તમ નોંધાયા છે. પલળેલા ઘઉઁના ભાવ 400 થી 500 રુપિયા નોંધાયો છે. હાલમાં માર્કેટયાર્ડમાં મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ ઘઉં વેચવા માટે હિંમતનગરના માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડમાં પણ 850 રુપિયા કરતા વધુના ભાવ પ્રતિ મણે ઘઉંના પાકના નોંધાયા હતા. આમ છેલ્લા બે ત્રણ દિવસથી મોડાસા માર્કેટયાર્ડમાં પણ ખુલ્લા બજારની હરાજીમાં ઉંચા ભાવ ઘઉંના મળી રહ્યા છે.
Published On - 6:44 pm, Sat, 25 March 23