પોશીના તાલુકા પંચાયતમાં ડખો ગૂંચવાયો, DDO એ બોલાવી ખાસ સભા

20 માંથી 16 બેઠકો પર પોશીનામાં ભાજપના સભ્યોએ સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી હતી. હવે પ્રમુખ સામે 14 સભ્યોએ બાંયો ચઢાવતા એક મહિનાથી ડખો વિવાદે ચડ્યો છે.

પોશીના તાલુકા પંચાયતમાં ડખો ગૂંચવાયો, DDO એ બોલાવી ખાસ સભા
DDO એ અવિશ્વાસની દરખાસ્તને લઈ બેઠક બોલાવી
| Updated on: Jan 25, 2023 | 5:06 PM

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર ભાજપનો ચારે બાજુ ઝંડો લહેરાઈ રહ્યો છે. જોકે આ દરમિયાન હવે પોશીના તાલુકા પંચાયતમાં ડખો સર્જાયો છે. પોતાના જ સભ્યોએ હવે તાલુકા પંચાયતના પ્રમુખ ચિમનભાઈ ગમાર સામે મોરચો માંડ્યો છે. તાલુકા પંચાયતના 19 પૈકીના 14 સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત ડીસેમ્બર માસમાં રજૂ કરી હતી. ત્યાર બાદ તાલુકા વિકાસ અધિકારીએ હવે ખાસ સૂચના પાઠવતો પત્ર તાલુકા પ્રમુખને મોકલ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અવિશ્વાસની દરખાસ્તને મામલે નિર્ણય કરવા એટલે કે વિશ્વાસનો મત સાબિત કરવા માટે થઈને સભા બોલાવવામાં આવી છે. જેમાં ચૂંટાયેલા તમામ સભ્યોને મીટીંગમાં ઉપસ્થિત રહેવા માટે સૂચના તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી છે.

પ્રમુખ સામે મોરચો માંડ્યો

ચુંટાયેલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા આક્ષેપો કર્યા હતા કે, પ્રમુખ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે સમસ્યા રહી છે. આ સહિત અનેક સમસ્યાઓનો સામનો સભ્યોએ કરવો પડી રહ્યો છે. આમ વિવિધ મુદ્દાઓ રજૂ કરીને પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ સામે 14 સભ્યોએ મોરચો માંડ્યો છે. આ માટે ગત 30 ડિસેમ્બરે અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી સામે રજૂ કરવામાં આવી હતી.

સામાન્ય ચુંટણીમાં 19 માંથી ભાજપે 16 બેઠકો પર જીત મેળવી હતી. ત્યાર બાદ એક સભ્યનુ અવસાન થવાથી એક બેઠક ખાલી પડી હતી. આમ ભાજપના 15 અને અન્ય 4 સભ્યો મળીને હાલમાં 19 સભ્યો મોજુદ છે. જેમાંથી 14 સભ્યોએ પ્રમુખ ચિમનભાઈ ગમાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

સંગઠન કક્ષાએ શરુ કર્યા પ્રયાસો

અવિશ્વાસની દરખાસ્તને હવે તાલુકાથી લઈ જિલ્લા ભાજપ સંગઠને વાતને વાળી લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે. નારાજ સભ્યોને મનાવવા માટે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જોકે મામલાનુ સમાધાન સાધી શકાયુ નથી. આ માટે ભાજપના નારાજ સભ્યોને નોટીસો પણ પાઠવવામાં આવી હતી. જોકે હવે આ દરમિયાન ડીડીઓએ બેઠક માટે તારીખ અને સમય ફાળવી દેતા પંચાયત ગુમાવાશે કે બચાવાશે એ સવાલ થઈ રહ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ, સ્થાનિક રાજકીય રીતે ગતિવીધીઓ મહત્વનો ભાગ અવિશ્વાસની દરખાસ્ત અને બાદમાં સમાધાન નહીં થવા દેવામાં ભાગ ભજવી રહ્યા છે. જેને લઈ હવે પ્રદેશ ભાજપ સ્તરે આ મામલે લેખીત ફરિયાદો કરવામાં આવી રહી છે.

Published On - 5:05 pm, Wed, 25 January 23