ઈડરીયો ગઢ જીત્યા અમે… આનંદ ભયો … આ લોકગીત અનેક ખુશીના અવસર પ્રસંગે ગાવામાં આવે છે. પરંતુ ઈડરીયા ગઢના ખનને લઈ પાંચ વર્ષથી સાબરકાંઠા માં સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન ચુંટણીમાં હવે મુખ્ય મુદ્દો ઈડરીયો ગઢ બની રહ્યો છે. ચુંટણીમાં બંને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ગઢ બચાવવાના વચન આપી રહ્યા છે. આમ હવે ગઢને જીતવા પહેલા ગઢને બચાવવાના વચનનો વિશ્વાસ અપાઈ રહ્યો છે.
ઈડરીયો ગઢ એ ઐતિહાસિક વારસો છે. ગુજરાતના જોવાલાયક અને ગૌરવશાળી વારસામાંથી એક છે. જેને બચાવવા માટે થઈને ઈડર જ નહીં પરંતુ સાબરકાંઠા જિલ્લાના વાસીઓ સહિત ગુજરાત ભરમાંથી વારસાના પ્રેમીઓએ આંદોલન ચલાવ્યુ હતુ. ઈડરીયો ગઢ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રજૂઆત બીનરાજકીય રીતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન લોકોએ કરી હતી. પરંતુ હવે ચુંટણીઓ આવતા જ ઈડરીયા ગઢને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કારણ કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેટલાક લોકો દ્વારા ઈડરીયા ગઢનુ ખનન કરવામાં આવી રહ્યુ છે.
હવે ફરીએકવાર ઈડરીયા ગઢના ખનને અટકાવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા વિશ્વાસ અને વચન અપાઈ રહ્યા છે. ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાએ ધારાસભ્ય પદે રહેવા દરમિયાન ઈડર ગઢને કાંકરીને સોનાના કરતા મોંઘી ગણાવતા હતા અને એટલે જ ગઢના ખનનને અટકાવવા માટે પ્રયાસ કર્યો હતો. તેઓએ ફરી એકવાર ઈડરીયા ગઢને સુરક્ષિત રાખવાનો વિશ્વાસ લોકોને આપી રહ્યા છે.
રમણલાલ વોરા એ Tv9 સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, ઈડરીયો ગઢ એ અમૂલ્ય વારસો છે, આ વારસો સાચવવો એ સૌની ફરજ છે. મારુ પહેલાથી જ કહેવુ છે કે, ગઢના પત્થરના ભારોભાર સોનુ આપવામાં આવે તો પણ તેનુ ખનન ના થવુ જોઈએ. 1995 થી તેને સાચવવાની ફરજ નિભાવી છે. હજુ પણ એ જ વિશ્વાસ આપુ છુ કે સાચવી દર્શાવીશ.
ઇડરીયા ગઢના મુદ્દો આમતો બીનરાજકિય રીતે ચર્ચામાં રહ્યો હતો અને લોકોએ રાજકારણને વચ્ચે લાવ્યા વિના જ વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો અને ગઢને બચાવવા માટે સ્થાનિક આગેવાનોએ રજૂઆતો કરી હતી. જોકે હવે ફરી એકવાર ચુંટણી ટાણે આ મુદ્દાને આગળ ધરવામાં આવતા હવે ગઢ બચાવવા માટે થઈને વિશ્વાસ નુ વચન માંગવામાં આવી રહ્યુ છે. તો કોંગ્રેસે તો વળી આ માટે ભાજપ સત્તામાં ભાજપ પર જ આક્ષેપો ઢોળી દીધા છે. જોકે કોંગ્રેસના ઉમેદવારે ખનને ચુંટણી બાદ તુરત જ બંધ કરી દેવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસે આ માટે પોતે જીત મેળવે તો ખનન બંધ કરાવી દેવાનો વિશ્વાસ આપ્યો છે.
તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રામભાઈ સોલંકીએ કહ્યુ હતુ કે, અમે જીતીશુ તો તુરત જ ગઢનુ ખનન બંધ કરાવી દઈશુ, સત્તામાં ભાજપ છે અને તેમના મળતીયાઓ આ ખનન કરાવી રહ્યા છે. આમ સીધો આક્ષેપ સત્તાધીશો સામે કોંગ્રેસે કર્યો હતો.
ઈડરીયા ગઢને લઈ રાજકારણને ગરમ કરવાનો પ્રયાસ તો થઈ રહ્યો છે. પરંતુ, મોકો જોઈને ચોગ્ગો મારવા માટે તૈયાર બેઠેલાઓને જોકે ચુંટણીના માહોલમાં આ મુદ્દો કેટલો કારગત નિવડે છે એતો સમયે જ ખ્યાલ આવશે પરંતુ હાલ તો વિશ્વાસનુ વચન પાળવાની આશાએ લોકો આક્ષેપ પ્રતિઆક્ષેપને સાંભળી રહ્યા છે.
Published On - 6:40 pm, Sun, 20 November 22