સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ કમોસમી વરસાદ કરા સાથે વરસ્યો હતો. શનિવારની રાત્રી દરમિયાન હિંમતનગર વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ આફત રુપ વરસતા ખેડૂતોથી લઈને નાના રોજગાર ધંધાને પણ મોટુ નુક્શાન પહોંચાડ્યુ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં ઈંટ ઉત્પાદકોને મોટુ નુક્શાન કમોસમી વરસાદને લઈ થયુ છે. જેને લઈ હવે બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શનને પણ મોટી અસર પહોંચશે.
છેલ્લા પાંચ છ માસથી મહેનત કરીને તૈયાર કરવામાં આવેલી ઈંટો કમોસમી વરસાદમાં ધોવાઈ ચુકી છે. સળગગતા ધગધગતા ભઠ્ઠા અધૂરા રહીને જ વરસાદમાં ઠરી જવા પામ્યા છે. જેને લઈ નાના ઈંટ ઉત્પાદકોની હાલત કફોડી થઈ જવા પામી છે. ઈંટોનુ ઉત્પાદન મોટે ભાગે નાના નાના શ્રમિક વર્ગો દ્વારા કરવામાં આવતુ હોય છે. છ મહિનાની મહેનત અને બાર મહિનાનુ ગુજરાન ચલાવવાનો ઈંટ ઉત્પાદનનો ધંધો હાલ કમોસમી વરસાદમાં ફના થઈ ગયો છે.
સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઈલોલ, મહેરપુરા, દેરોલ તેમજ પ્રાંતિજના બાલીસણા, ઉંછા, રાસલોડ અને બાકલપુર વિસ્તારમાં ઈંટો ઉત્પાદન કરતા ખેડૂતોને નુક્શાન પહોંચ્યુ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા અને મેઘરજ વિસ્તારના દધાલીયા, પાંચ મહુડી, શણગાલ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ઈંટોમાં નુક્શાન પહોંચ્યુ છે.
ઈલોલના ઈંટ ઉત્પાદક લક્ષ્મણભાઈ પ્રજાપતીએ Tv9 સાથે વાત કરતા કહ્યુ હતુ કે, “વરસાદને લઈ મોટા પ્રમાણમાં ઈંટોને નુક્શાન પહોંચ્યુ છે. ઈંટો ધોવાઈ જવા પામી છે અને જેને લઈ હવે ફરીથી બેઠા થવુ મુશ્કેલ છે. અમારી અને આસપાસના ના વિસ્તારમાં ઈંટો આ રીતે ધોવાઈ ચુકી છે. જેને લઈ હવે આવનારા દિવસોમાં ઈંટો પૂરી પાડવી અમારા માટે સમસ્યા સર્જી શકે છે.”
જોકે આ અંગે ઈંટ ઉત્પાદકોએ વિમા રક્ષણ મેળવવા માટે ખૂબ રજૂઆતો કરવા છતાં તેને રક્ષણ આપવામાં આવતુ નથી. આમ કરવામાં આવે તો,મોટી રાહત નાના નાના ઈંટ ઉત્પાદકોને દેવાદાર બનાવતા અટકાવી શકે છે. ઉત્પાદકો આ માટે વિમાના પ્રીમિયમ પણ ભરવા તૈયાર છે, છતાં આકસમિક આફતોથી રક્ષણ આપવાની મનાઈ કરી રહ્યા છે.
ઈંટ ઉત્પાદક અલાઉદ્દીન પઠાણે Tv9 સાથે વાત કરતા કહ્યુ હતુ કે, “અમારી મોટા ભાગની ઈંટો વરસાદમાં નુક્શાન પાણી છે. અમારો હાલનો સમય એકદમ મહત્વનો અને પિક પર હોવાનો હતો એવા સમયે જ કમોસમી વરસાદે નુક્શાન પહોંચાડ્યુ છે. અમારે મોટુ નુક્શાન નાના ઉત્પાદકોએ વેઠવુ પડ્યુ છે. અમે વિમા કંપનીઓને રજૂઆત કરી હતી કે, અમને વિમા રક્ષણ આપવામાં આવે તો નુક્શાનમાં રાહત રહે.”
શ્રમીકોની માફક કામ કરીને તૈયાર કરેલી ઈંટોને હાલમાં વેચાણ અને સપ્લાય કરવાનો મહત્વનો સમય છે. જૂન પહેલાના સમયમાં ઉનાળામાં બે પૈસા રળવાની મહેનત ચાલતી હોય છે એ દરમિયાન જ ઈંટો ધોવાઈ જવા પામી છે. જેને લઈ હવે ફરીથી આ પિકઅપ આવતા ઓછામા ઓછો એક મહિનો લાગશે અને આમ સિઝન માંડ એક મહિનાની જ ઈંટ ઉત્પાદકો માટે બચી રહેશે.
આવામાં હવે બિલ્ડીંગ ક્ન્સ્ટ્રક્શનના ધંધાને મોટી અસર પહોંચી શકે છે. કમોસમી વરસાદમાં 40 ટકા જેટલી ઈંટોને નુક્શાનને લઈ ઈંટોની અછત વર્તાઈ શકે છે અને જેને લઈ શહેરોમાં ચાલતા મોટા બિલ્ડીંગ કન્સ્ટ્કશન પ્રભાવિત થશે. દિવાળી બાદ હવે ફરીથી આ ઈંટ ઉત્પાદકો બેઠા થઈ શકે ત્યાં સુધી મુશ્કેલીઓ આ નુક્શાનને લઈ વેઠવી પડશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અંદાજે 40 ટકા જેટલી ઈંટો કમોસમી વરસાદમાં ધોવાઈ જતા સંપૂર્ણ રીતે નષ્ટ થઈ છે. તો વળી ભઠ્ઠાઓને નવેસરથી તૈયાર કરવા અને ઈંટો પકવવી એ આખી પ્રક્રિયા ફરી શરુ કરવી મુશ્કેલ બનશે.
Published On - 6:58 pm, Sun, 19 March 23