Ashwin Kotwal: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના અંતિમ આદિવાસી નેતાએ પણ છોડ્યો સાથ! કોણ છે MLA અશ્વિન કોટવાલ જાણો સંપૂર્ણ વિગત

અશ્વિન કોટવાલ (Ashwin Kotwal) કોંગ્રેસ માટે અંતિમ મોટા કોંગ્રેસી આગેવાન ઉત્તર ગુજરાતમાં રહ્યા છે, તેઓ પણ હવે કોંગ્રેસના હાથનો સાથ છોડીને ભાજપ (BJP) માં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ સતત અવગણના કરવાને લઈ કોટવાલ નારાજ હતા.

Ashwin Kotwal: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના અંતિમ આદિવાસી નેતાએ પણ છોડ્યો સાથ! કોણ છે MLA અશ્વિન કોટવાલ જાણો સંપૂર્ણ વિગત
Ashwin Kotwal ખેડબ્રહ્મા બેઠકના વર્તમાન MLA છે
| Updated on: May 02, 2022 | 9:47 PM

સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ (Ashwin Kotwal) મંગળવારની સવાર થી આગામી સામાન્ય ચુંટણી સુધી પૂર્વ ધારાસભ્ય બની જશે. જોકે આ સાથે જ તેઓએ આદીવાસી સમાજના દિગ્ગજ આગેવાન ભાજપ (Bharatiya Janata Party) ના નેતા બની જશે. ભાજપના આદીવાસી નેતાની પ્રથમ હરોળ અશ્વિન કોટલવાલની હાજરીથી દમદાર બની જશે, કારણ કે અશ્વિન કોટવાલ ગુજરાતના પૂર્વ પટ્ટાના આદીવાસી વિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે. જે લોકચાહનાનો ભાજપ ચુંટણી અને ત્યાર બાદ આદીવાસી સમાજના પ્રાથમિક સુવિધાઓ અને અન્ય પ્રશ્નોને ઉકેલવા માટે અશ્વિન કોટવાલનો ઉપયોગ કરી શકે છે અને આ જ લાભ લેવા માટે ભાજપે પણ કોટવાલની કોંગ્રેસ (Congress) સાથેની નારાજગીનો ફાયદો ઉઠાવ્યો છે.

આ સાથે જ હવે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના અંતિમ આદીવાસી નેતા પણ કોંગ્રેસના પંજામાંથી મુક્ત થઈ રહ્યા છે. તેઓ 2500 થી વધુ આદીવાસી લોકો સાથે કમલમ ખાતે જોડાઈ શકે છે અને મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને આગેવાનો પણ કમલમમાં આ સમયે ઉપસ્થિત રહેશે. કોટવાલ અરવલ્લી જિલ્લામાં ભિલોડા બેઠકને અને બનાસકાંઠામાં દાંતા બેઠક પર પણ ભાજપ તરફી પ્રભાવિત કરી શકે છે તેવો લાભ મળી શકે છે.

અશ્વિન કોટવાલ આમ તો સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના નિકટ હતા. અમરસિંહ અને પોતાના પિતા લક્ષ્મણ કોટવાલના માર્ગદર્શન હેઠળ તેઓએ રાજકીય સૂઝબુઝના પાઠ શિખ્યા હતા. રાજકીય શરુઆત કોટવાલે 2005માં સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ચુંટણી લડીને કરી હતી. આ પહેલા તેમના પિતા જિલ્લા પંચાયતના સભ્ય અને સમિતિના ચેરમેન પદે હતા. અશ્વિન કોટવાલ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પદે આક્રમકતા અને લોકોના પ્રશ્નોને ઉકેલવા માટેની કૂનેહતા દર્શાવતા કોંગ્રેસે તેમને ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્યના ઉમેદવાર તરીકે 2007માં પસંદ કર્યા હતા.

અશ્વિન કોટવાલે 2012માં 50 હજાર થી વધુ મતે વિધાનસભાની સામાન્ય ચુંટણી જીતી હતી. વર્ષ 2017માં પણ તેમણે ફરી થી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ખેડબ્રહ્મા બેઠક ને જીતી લીધી હતી. આમ સળંગ ત્રણવાર ધારાસભ્ય પદે ચુંટાયેલા અશ્વિન કોટવાલ હવે ભાજપના કેસરીયા ધારણ કરશે.

શુ હતી નારાજગી

દિગ્ગજ આદીવાસી નેતા તેમજ સમાજ પર મજબૂત પકડ હોવા છતાં કેટલાક કોંગ્રેસી નેતાઓ તેમને કટ ટુ સાઈઝ કરવા માટે છેલ્લા દોઢ દાયકા થી પ્રયાસ કરી રહ્યા હતા. જેમની સામે કોટવાલે પક્ષમાં રહીને પક્ષના નેતાઓ સામે લડત આપવી પડી રહી હતી. 2012માં પણ તેમની ટીકીટ કાપવા માટે અથાગ પ્રયાસો પક્ષના જ નેતાઓએ કરી હોવાની રજૂઆત તેમણે મોવડી મંડળને કરી હતી. પરંતુ ટીકીટ મેળવીને 50 હજાર મતે જીત મેળવી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસૂદન મિસ્ત્રી સાથે તેમની અણબન જગજાહેર છે અને તે બનેની લડાઈની આગમાં ઘી હોમવાનુ કાર્ય પણ કોંગ્રેસના જ કેટલાક કાર્યકરો અને આગેવાનો કરતા હોવાની રજૂઆત પણ તેઓ કરી ચુક્યા છે. સિનિયર હોવા છતાં વિપક્ષી નેતાની રેસમાંથી તેમને બહાર ગણવામાં આવતા તેમની નારાજગી વધી હતી અને તેનુ સમાધાન થઇ શક્યુ નહોતુ.

પરીવાર પણ રાજકીય અનુભવી

અશ્વિન કોટવાલના પિતા, પત્નિ અને પુત્ર પણ રાજકારણના ખૂબ જ અનુભવી છે. અશ્વિન કોટવાલના પત્નિ ઈન્દુબેન શિક્ષક હતા પરંતુ બાદમાં તેઓએ રાજકારણ અપનાવ્યુ હતુ અને તેઓએ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચુંટાયા હતા. તેમના પિતા પણ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચેરમેન પદના હોદ્દાઓ પર રહી ચુક્યા છે અને તેમના પિતા લક્ષ્મણભાઈ કોટવાલ આદીવાસી સમાજમાં સારા આગેવાન તરીકે ગણના થાય છે. પુત્ર યશ કોટવાલ પણ તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહી ચુક્યો છે.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની ભૂલનો કોલકાતાએ ઉઠાવ્યો ફાયદો! 9 મેચમાં 30 વિકેટ લેનારા સમસ્તીપુરના ‘રવિન્દ્ર જાડેજા’ નુ ડેબ્યૂ

આ પણ વાંચો : IPL 2022: ઉમરાન મલિકે સૌથી ઝડપી બોલના તોડી નાંખ્યાં તમામ રેકોર્ડ, ધોની-ઋતુ સામે કાશ્મિર એક્સપ્રેસે આટલી ગતીએ બોલ ફેંક્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Published On - 8:42 pm, Mon, 2 May 22