AMUL ના શામળ પટેલનો NCEL ના બોર્ડમાં સમાવેશ કરાયો, રાષ્ટ્રીય સ્તરના સહકારી બોર્ડમાં સભ્ય તરીકે નિમણૂંક

નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) ની પ્રથમ વાર્ષિક જનરલ બોર્ડ મિટિંગ દિલ્હીમાં શુક્રવારે મળી હતી. જેમાં GCMMF અને સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલને બોર્ડના સભ્ય તરીકે સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી.

AMUL ના શામળ પટેલનો NCEL ના બોર્ડમાં સમાવેશ કરાયો, રાષ્ટ્રીય સ્તરના સહકારી બોર્ડમાં સભ્ય તરીકે નિમણૂંક
પ્રથમ વાર્ષિક જનરલ બોર્ડ મિટિંગ દિલ્હીમાં મળી
| Updated on: Jul 28, 2023 | 7:23 PM

નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) ની પ્રથમ વાર્ષિક જનરલ બોર્ડ મિટિંગ દિલ્હીમાં શુક્રવારે મળી હતી. નવી દિલ્હીના જનકપુરીમાં આવેલ GCMMF ઝોનલ ઓફિસ ખાતે બેઠકનુ આયોજન કરવામાં આવી હતી. જેમાં GCMMF (અમૂલ) ના ચેરમેન શામળ પટેલની બોર્ડ સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડમાં અમૂલના ચેરમેનને સભ્ય પદ આપવામાં આવ્યુ છે. રાષ્ટ્રીય સ્તરના બોર્ડમાં સ્થાન મળવાને લઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનુ ગૌરવ વધ્યુ છે.

શામળ પટેલ સાબરડેરીના ચેરમેન છે અને અરવલ્લીના બાયડના પીપોદરા ગામના વતની છે. સાબરડેરીમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે. આમ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના ગૌરવમાં વધારો થયો છે.

સર્વાનુમતે નિમણૂંક કરાઈ

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (AMUL) ના બોર્ડ દ્વારા નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડના સભ્ય તરીકે શામળ પટેલનુ નોમિનેશન મોકલવામાં આવ્યુ હતુ. જ્યાં પ્રથમ એજીએમ મળતા શામળ પટેલને બોર્ડના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેમના નોમિનેશન પર નાફેડના ચેરમેન અને ઈફ્કોના જોઈન્ટ એમડીએ સમર્થ આપ્યુ હતુ. આમ સર્વાનુમતે રાષ્ટ્રીય સ્તરની નવા બોર્ડમાં નિમણૂંક કરવામાં આવી હતી.

સભ્ય તરીકે નિમણૂંક બાદ શામળ પટેલે કહ્યુ હતુ કે, NCEL કોઈપણ સહકારી અને એફપીઓ દ્વારા કરવામાં આવતા ઉત્પાદનને નિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ પર કામ કાર્ય કરશે. ખાસ કરીને વૈશ્વિક બજારોમાં વિવિધ ઉત્પાદનોની માંગ અને વપરાશની સંભાવનાને અનલોક કરવામાં મદદ મળશે. આમ એકંદરે ખેડૂતોને તેમના ઉત્પાદનના નિકાસની સુવિધા અને માર્કેટિંગ વડે ઉંચી કિંમત મેળવવામાં મદદરુપ નિવડશે. NCEL દેશના મૂલ્યવાન વિદેશી હૂંડિયામણ કમાવવામાં પણ મદદરુપ નિવડશે.

ગત જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સ્તરની મંડળીની મંજૂરી

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરની સહકારી મંડળીની સ્થાપના અંગેની મંજૂરી ગત જાન્યુઆરી માસમાં આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ મંજૂરી આપી હતી. સરકારે નાની સહકારી મંડળીઓની નિકાસને ટેકો મળી રહે એ માટે થઈને પ્રોત્સાહન આપવા માટે આ અંગેના નિર્ણયની મંજૂરી આપી હતી.

 

આ પણ વાંચોઃ Gift City અને PDPU વચ્ચે સાબરમતી નદી પર રીવરફ્રન્ટ તૈયાર કરાશે, 650 કરોડ રુપિયાના ખર્ચે કિનારાની કરાશે કાયાપલટ!

 સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:18 pm, Fri, 28 July 23