લંકેશના ઘરે તસ્કરો ત્રાટક્યા, અરવિંદ ત્રિવેદીના ઘરે રામની પૂજામાં વપરાતા કિંમતી સામાનની ચોરી

લંકેશ નિયમીત રીતે ભગવાન રામની પૂજા કરતા હતા, રામનવમીના તહેવારની ઉજવણી પણ તેઓએ કરતા અને તેમાં મોટી સંખ્યામાંં તેમના ચાહકો હિસ્સો બનતા હતા. તેમના અવસાન બાદ બંગલો મહદઅંશે બંધ જ રહેતો હતો.

લંકેશના ઘરે તસ્કરો ત્રાટક્યા, અરવિંદ ત્રિવેદીના ઘરે રામની પૂજામાં વપરાતા કિંમતી સામાનની ચોરી
ઈડરમાં આવેલા લંકેશના ઘરે ચોરી
| Updated on: Feb 06, 2023 | 9:37 AM

લંકેશથી જાણિતા સ્વર્ગસ્થ અભિનેતા અરવિંદ ત્રિવેદીના બંગલામાં તસ્કરો ત્રાટક્યા છે. સાબરકાંઠા ના ઈડરમાં આવેલા તેમના બંધ બંગલામાં તસ્કરોએ ત્રાટકીને સોના-ચાંદીના પૂજાના વાસણો, ઘરેણાં અને રોકડ રકમની ચોરી તસ્કરોએ આચરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. સ્વર્ગસ્થ અભિનેતા અરવિંદ ત્રિવેદીની પુત્રી કવિતાબેને મુંબઈથી ઈડર આવીને 4.50 લાખ રુપિયાની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે ઈડર પોલીસે તપાસ હાથ ધરી છે. ગત 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરીની રાત્રી દરમિયાન આ ચોરી થઈ હોવાનુ ફરીયાદમાં નોંધવામાં આવ્યુ છે.

અરવિંદ ત્રિવેદી પોતાની હયાતીમાં રામાયણ સિરીયલના શુટીંગ બાદ નિયમીત રામની પૂજા અર્ચના કરતા હતા. આ માટે પોતાના વતન ઈડરમાં આવેલા અન્નપૂર્ણા બંગ્લોમાં ભગવાન રામની પ્રતિમા ની પ્રતિષ્ઠા કરી હતી. જેની તેઓ નિયમીત પૂજા અર્ચના કરતા હતા. રામનવમીનો ઉત્સવ તેઓ પોતાના ઘરે ધામધૂમથી કરતા હતા. એ જ રામની પ્રતિમાના ચરણ પાદુકા થી લઈ છત્ર અને અન્ય પૂજાના વાસણો તસ્કરો ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાઈ છે.

 

લંકેશે વસાવેલા પૂજાના કિંમતી સામાનની ચોરી

અરવિંદ ત્રિવેદી નિયમીત રીતે પોતાના ઘરે પૂજા અર્ચના કરતા હતા. રામાયણમાં રાવણનુ પાત્ર ભજવ્યુ હતુ અને તેઓએ રામના પાત્રને જેવુ શ્રેષ્ઠ છે એવુ જ લોકો સમક્ષ શ્રેણીમાં રજૂ કરવા માટે ખૂબ ગાળો આપી હતી. શુટીંગ દરમિયાન રામને ગાળો આપવાની અને ધિક્કારવાની ભૂમિકાથી તેઓ વ્યથિત રહેતા હતા. તેઓએ જેના પશ્ચાતાપ રુપે પોતાના અંતિમ શ્વાસ સુધી ભગવાન રામની તન, મન અને ધનથી ભક્તિ કરી હતી. ભગવાન રામની પ્રતિમા પોતાના ઈડર સ્થિત બંગલામાં મોરારી બાપુના હસ્તે સ્થાપના કરી હતી.

નિયમીત રુપે લંકેશ રામની ભક્તિ કરતા હતા. ભગવાન રામની પૂજા માટે તેઓએ સોના અને ચાંદીના ઘરેણા અને પૂજાના સામાનને વસાવેલો હતો. જેની તસ્કરોએ ચોરી કરી છે. સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને સાડા ચાર લાખ રુપિયાની ચોરી થયાનુ લંકેશના પુત્રી કવિતાબેન ઠક્કરે ઈડર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ઈડર પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ઘરી છે.

કઈ કઈ કિંમતી ચિજોની ચોરી થઈ

ઈડર પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ મુજબ પોલીસ સ્ટેશનના સુત્રોએ Tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ચાંદીના છત્ર, ચરણ પાદુકા, કમરબંધ અને ચાંદીના વાસણો સહિતના કિંમતી સામાનને તસ્કરો ચોરી કરી ગયા હતા. ચાંદીના છત્ર નંગ-03

  • માળા નંગ-03
  • ચાંદીના ચરણ પાદુકા નંગ-04
  • ચાંદીના મુઘટ નંગ-02
  • કમરપટ્ટો-01
  • કાંસાની થાળી નંગ-06
  • ચાંદીના થાળી વાડકી, ચમચી, ગ્લાસ સહિતનો સેટ
  • ચાંદીના દિવા નંગ-04
  • ચાંદીના કડા નંગ-04
  • ચાંદીનો રથ
  • રોકડ રકમ રુપિયા 15 હજાર
  • સોનાની વિંટી નંગ-01
  • ટીવી નંગ -01

Published On - 8:32 am, Mon, 6 February 23