કોરોનાની સારવાર માટે અમદાવાદના સોલામાં આવેલ સિવીલ હોસ્પિટલમાં ( Sola Civil Hospital ) દાખલ કરાયેલા એક દર્દીનું ગત રાત્રે મૃત્યુ નિપજ્યુ હતું. પોતાના સ્વજનના મૃત્યુના સમાચાર જાણીને મૃતકના સગાઓએ સોલા સિવીલ હોસ્પિટલના સ્ટાફ સાથે બેહુદુ વર્તન કર્યુ હતું. આટલેથી ના અટકતા, મૃતકના સગાઓએ, લાકડી સહીતના સાધનોથી સોલા સિવીલ હોસ્પિટલના છઠ્ઠા માળે આવેલ કોવીડ વોર્ડમાં ( Covid Ward ) તોડફોડ શરૂ કરી હતી. સાથોસાથ સોલા સિવીલ હોસ્પિટલના સ્ટાફને પણ માર માર્યો હતો.
કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના સગા હિંસા ઉપર ઉતરી આવેલા જોઈને ગભરાઈ ગયેલ હોસ્પિટલનો સ્ટાફ એક રૂમમાં પુરાઈ ગયો હતો. જ્યાથી સોલા સોવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ સહિતના સત્તાવાળાઓને સતત ફોન કરતા કોઈએ ફોન રીસીવ કર્યા ના હોવાનો આક્ષેપ હોસ્પિટલના તબીબ અને નર્સિગ સ્ટાફે કર્યો છે.
તોડફોડ અને મારામારી સમયે ફરજ પર હાજર હોસ્પિટલ સ્ટાફનું કહેવુ છે કે, હોસ્પિટલમાં તોડફોડ અને મારામારી કરનારાઓએ ચિક્કાર દારુ પિધેલો હતો. આવા સમયે સિક્યોરિટી સ્ટાફ પણ ફરજ ઉપર હાજર નહોતો. સોલા સિવીલના સ્ટાફે આક્રોશ વ્યક્ત કર્યો છે કે, પોલીસ સુરક્ષા નહી મળે તો કોવિડ વોર્ડમાં ફરજ નહી બજાવીએ.