રાજકોટમાં સ્વામીનારાયણ ગુરુકુળ બન્યુ પ્રાકૃતિક ખેતીનું પ્રેરણાધામ, 10 હજાર ખેડૂતોનું યોજાયુ સંમેલન

Rajkot: રાજકોટમાં સ્વામીનારાયણ ગુરુકુળના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન આયોજિત ખેડૂત સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યભરમાંથી આવેલા 10,000 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપ્યુ હતુ.

રાજકોટમાં સ્વામીનારાયણ ગુરુકુળ બન્યુ પ્રાકૃતિક ખેતીનું પ્રેરણાધામ, 10 હજાર ખેડૂતોનું યોજાયુ સંમેલન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
| Edited By: | Updated on: Dec 22, 2022 | 11:47 PM

રાજકોટ અમૃત મહોત્સવ અંતર્ગત મવડી કણકોટ રોડ પર નિર્મિત સહજાનંદ નગર ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યભરમાંથી આવેલા 10,000 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહાત્મ્ય સમજાવી માર્ગદર્શિત કર્યા હતા. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને જરૂરિયાત સમજાવતા કહ્યું હતું કે, એક સમયે અનાજની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિની જરૂરિયાત હતી, પરંતુ રાસાયણિક ખાતરના વપરાશના કારણે પર્યાવરણ જળ-વાયુ અને માનવ શરીરને નુકસાન સહન કરવું પડ્યું છે. કેન્સર સહિતના રોગોમાં અપ્રમાણસર વધારો જોવા મળી રહ્યો છે. માટે હવે સમયની જરૂરિયાત છે કે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે.

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન વધે છે- રાજ્યપાલ

પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદન ઘટે છે તે વાત બિલકુલ ખોટી છે. તેમ કહી રાજ્યપાલએ સ્વાનુભવ જણાવ્યો હતો કે પૂર્ણ જ્ઞાન સાથે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઉત્પાદનમાં સતત વધારો થતો રહે છે. આ ઉપરાંત જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ પણ તેમણે સમજાવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીના ખેડૂતોના ઉત્કર્ષ અને સમૃદ્ધિના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું રાજ્યપાલએ જણાવ્યું હતું.

ગાય આધારિત ખેતી હાલના સમયની માગ- રાજ્યપાલ

રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું હતું કે રાસાયણિક ખાતરના સતત વપરાશને કારણે જમીન બંજર બનતી જાય છે તેમજ ઉત્પાદન વધારવા માટે વધુ ને વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે જેના પરિણામે કીટકો અને અળસિયા જેવા જીવ મિત્રો નાશ પામે છે, ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો સતત થઈ રહ્યો છે. દેશી ગાયોનો ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે, શુદ્ધ દૂધ મળવાનું ઘટી રહ્યું છે, આ તમામ પરિબળોમાંથી બહાર આવવા માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે તેમ રાજ્યપાલએ ભારપૂર્વક જણાવ્યું હતું.

મહંત દેવપ્રસાદજી સ્વામીએ પ્રાકૃતિક ખેતીનું મહાત્મ્ય સમજાવ્યુ

રાજ્યપાલએ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને સંસ્કાર સિંચન સાથે શિક્ષણની પ્રવૃત્તિ તેમજ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, ગૌ સેવા, પ્રાકૃતિક ખેતી અભિયાન સહિતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીને સમજાવતુ રૂપક તેમજ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજ્યપાલનું ધર્મ જીવન અમૃત કુંભથી બહુમાન કરાયુ હતુ઼. મહંત દેવપ્રસાદજી સ્વામીએ પ્રાકૃતિક ખેતીનું મહાત્મય સમજાવ્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના સી. કે. ટીંબડિયાએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન તેમજ આત્મા પ્રોજેક્ટના ઓ.એસ.ડી. દિનેશ પટેલએ પ્રાકૃતિક ખેતી અંગે સરકારના પ્રયત્નોની માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ તકે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાના તેમજ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા આપવા માટેના શપથ લીધા હતા. ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી, મહંત દેવ પ્રસાદ સ્વામી, મહંત ધર્મવલ્લભ સ્વામી, ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર, અગ્રણીઓ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

Follow Us
Loading...
Unable to load recommendations.