ધોરાજી તાલુકાના તોરણિયા ગામ પાસેના ચેકડેમમાં કેમિકલયુક્ત(Chemical) પાણી છોડાતા ખેડુતોની મુશ્કેલીમા વધારો થયો છે. જેતપુરનાં ડાઈંગ મિલ સંચાલકો પોતાની ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી ચેકડેમમાં છોડતા હોય છે જેને કારણે ખેડુતોનાં પાકને નુકશાન જવાની ભિતી સેવાઈ રહી છે.
આસપાસ ગ્રામ્ય વિસ્તારોના ખેડુતો અને આગેવાનોએ GPCB (Gujarat Pollution Control Board)બોર્ડને અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ, આ ડાઈંગ મિલના સંચાલકો વિરુધ્ધ કોઈ કાર્યવાહી ન કરતા ખેડુતોની મુશ્કેલી વધી રહી છે.
સામાન્ય રીતે, ચેકડેમ આસપાસના વિસ્તારોમાં ખેતી માટે આ ચેકડેમ મુખ્ય સ્ત્રોત છે.પરંતુ, કેમિકલ યુક્ત પાણીથી ખેડુતોના પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે, ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ (Lalit Vasoya)ડાઈંગ મિલ વિરુધ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
સ્થાનિક ખેડુતે જણાવ્યું હતું કે,”કેમિકલયુક્ત પાણીને કારણે અનેક ખેતરો બંજર બન્યા છે, ત્યારે તંત્રને અનેક વખત રજુઆત પણ કરી છે.પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી.”
મહત્વપૂર્ણ છે કે, વરસાદ બાદ પાક માટે મુખ્ય સ્ત્રોત ચેકડેમ જ હોય છે.ત્યારે કેમિકલયુક્ત પાણીથી જગતના તાતની દયનીય સ્થિતિ બની છે. ત્યારે આગામી સમયમાં GPCB દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Gujarat : આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Published On - 9:56 am, Mon, 19 July 21