RAJKOT જિલ્લામાં જેતપુરના અમરનગર પાસે અકસ્માત સર્જાતા બે લોકોનાં મૃત્યુ થયા છે. અમરનગરથી જેતપુર જતી વખતે એક કાર ઢાળમાં પલટી જતા કારમાં સવાર ત્રણમાંથી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. કાળનો કોળિયો બનેલા આ લોકો જેતપુરથી અમરનગર પ્રસંગમાં આવ્યા હતા. પ્રસંગમાં હાજરી આપીને તેઓ અમરનગરથી પરત જેતપુર જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તા પાસેના ઢાળમાં કાર પલટી ગઈ હતી.
જેતપુરથી અમરનગરની વચ્ચે અમરનગર પાસે આજે મારૂતિની એક કાર પલટી મારી ગઈ હતી. કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ગોળાઈમાં પલટી અને મેદાનમાં ફંગોળાઈ હતી.આ ગોળાઈ અમરનગર નજીક આવેલા શીતળા માતાના મંદિર પાસે આવેલી છે. આ અકસ્માતમાં કારનો બૂકડો બોલી ગયો હતો જ્યારે કારમાં સવાર બે શખ્સો કારના દરવાજામાંથી ફેંકાઈ ગયા હોવાની શક્યતા છે.