RAJKOT સિવિલ હોસ્પિટલમાં 45થી વધુ એટેનડેન્ટ અડધી રાતથી હડતાળ પર ઉતરી ગયા છે. મોડી રાત્રે મામલો બગડતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચવું પડ્યું હતું. આજે પણ એટેનડેન્ટ દ્વારા આ હડતાળ યથાવત રાખવામાં આવી હતી. હડતાળ પર ઉતરેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, તેમનો પગાર સમયસર ચુકવવામાં આવી રહ્યો નથી. સાથે પુરતો પગાર પણ નથી મળી રહ્યો.
તો બીજી તરફ સિવિલના એચઆર દ્વારા કહેવામાં આવ્યું કે, મોટાભાગના લોકોનો પગાર થઈ ગયો છે. જે લોકોનો પગાર નથી મળ્યો તે લોકો નવા છે અને તેમના બેંક એકાઉન્ટની ડિટેઈલ મેચ નથી કરી રહી. બીજી તરફ સિવિલમાં હડતાળ વધુ ચાલી તો દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી શકે તેમ છે. જેથી સિવિલ વહીવટી તંત્ર દ્વારા હડતાળ પર ઉતરેલા લોકો વિરૂદ્ધ પગલા લઈ શકે છે.
હાલ જયારે રાજકોટમાં કોરોના અને મ્યુકરમાઇકોસિસના કેસોમાં ઉછાળો આવ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એવામાં એટેનડેન્ટની હડતાળને પગલે સિવિલમાં વહીવટીપ્રક્રિયાને વિક્ષેપ પડી રહ્યો છે. એટેનડેન્ટની હડતાળને કારણે દર્દીઓને પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. જેથી આ હડતાળનો જલ્દી જ નિવેડો આવે તે જરૂરી બન્યું છે.