Rajkot: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠિયા AAPમાં જોડાયા

Rajkot: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠિયા AAPમાં જોડાયા

| Edited By: | Updated on: Apr 14, 2022 | 1:23 PM

ટીવી 9 સાથેની ખાસ વાતચીતમાં ઈન્દ્નનીલ રાજ્યગુરૂએ કહ્યું કે ભાજપ બરોબર નથી, કોંગ્રેસ દમ દેખાડતુ નથી, આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રજાને પોતાનું લાગે છે એટલે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠિયા આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયા છે. તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાવવા હોવાની વાત વહેતી થઈ હતી ઈન્દ્રનીલ રાજ્યગુરુ ગઈ કાલે દિલ્હીમાં હતાં. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી અને ત્યાં જ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ વિધીવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાઇ ગયા છે. લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ રાજ્યગુરૂએ આખરે પોતાનો વિકલ્પ શોધી લીધો છે. ટીવી 9 સાથેની ખાસ વાતચીતમાં ઈન્દ્નનીલ રાજ્યગુરૂએ કહ્યું કે ભાજપ બરોબર નથી, કોંગ્રેસ દમ દેખાડતુ નથી, આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રજાને પોતાનું લાગે છે એટલે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

 


ઈન્દ્રનીલ રાજ્યગુરૂની સાથે રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ RMC વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ પણ કોંગ્રેસનો હાથ છોડી આમ આદમી પાર્ટીનો સાથ પકડ્યો છે. ત્યારે ટીવી 9 સાથેની વાતચીતમાં તેમણે સ્વિકાર કર્યો કે કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે અને જનતાની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

 

કોણ છે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ?

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. કોંગ્રેસના પ્રદેશ માળખામાં પણ રાજ્યગુરૂને સ્થાન મળેલું હતું. જોકે, તે છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસમાં નિષ્ક્રિય હતા. ઘણા સમયથી પ્રદેશ નેતાગીરીથી પણ નારાજ હતા. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડી ચૂક્યા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ રાજ્યના સૌથી ધનિક ધારાસભ્યોમાંથી એક છે.

રાજ્યગુરૂએ કેમ છોડ્યો ‘હાથ’નો સાથ?

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા. રાજકોટ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા જૂથવાદને કારણે તેઓ નિષ્કિય થઈ ગયા હતા. ભાવનગરના પ્રભારી તરીકે પણ રાજ્યગુરૂએ રાજીનામુ આપી દીધુ હતું. ગુજરાત કોંગ્રેસ સાથે વાતચીત બાદ પણ સમાધાન કર્યું ન હતું. થોડા દિવસ પહેલા મળેલી કોંગ્રેસ આગેવાનોની બેઠકમાં પ્રદીપ ત્રિવેદી જૂથ સાથે બોલાચાલી થઈ હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં આ બેઠક થઈ હતી.

સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં સતત ભંગાણ

રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને RMCના પૂર્વ વિપક્ષ નેતા અને કોર્પોરેટર વસરામ સાગઠિયા કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા છે. આ પહેલાં રાજકોટ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશ રાજપરા પણ રાજીનામુ આપી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા ધોરાજી તાલુકા પંચાયતનાં પ્રમુખ સહિત 7 સભ્યો ભાજપમાં જોડાયા હતા. તે પહેલાં ઉપલેટા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ સહિતના 150 આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા હતા.

શું થશે અસર ?

રાજ્યગુરૂ અને સાગઠિયાની એન્ટ્રથી AAPને બળ મળશે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધશે. સાગઠિયાના આવવાથી રાજકોટ કોર્પોરેશનમાં AAPની એન્ટ્રીની શક્યતા વધી ગઈ છે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે. સીનિયર નેતાઓ પક્ષમાં હોવાથી સંગઠન મજબૂત બનશે.

આ પણ વાંચોઃ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મહત્વની ભેટ

આ પણ વાંચોઃ માધવપુરમાં આજે ધુળેટીનો માહોલ ! જાણો અહીં કેવી રીતે થાય છે નવવધુ રુકમણીના વધામણાં ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 14, 2022 12:41 PM
Follow Us
Loading...
Unable to load recommendations.