સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા

Haridham Sokhada : પ્રેમસ્વરૂપ સ્વામી, પ્રબોધ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીએ સામે આવી સ્પષ્ટતા કરી છે. ગાદીપતિને લઈ કોઈ વિવાદ નહીં હોવાનો તેમણે દાવો કર્યો છે.

સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા
Premaswaroop Swami was appointed as the new Gadipati of Sokhada Swaminarayan temple
| Edited By: | Updated on: Sep 27, 2021 | 4:40 PM

VADODARA : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી (Premaswaroop Swami) નિમાયાછે. હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો કામ કરશે. પ્રેમસ્વરૂપ સ્વામી, પ્રબોધ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીએ સામે આવી સ્પષ્ટતા કરી છે. ગાદીપતિને લઈ કોઈ વિવાદ નહીં હોવાનો તેમણે દાવો કર્યો છે. તેમણે કહ્યું તમામ સંતો-હરિભક્તો એક થઈ સાથે મળીને કામ કરશે. બ્રહ્મલીન હરીપ્રસાદ સ્વામીની પ્રેમ સ્વરૂપ સ્વામી નવા ગાદીપતિ બને તેવી ઈચ્છા હતી. કેટલાક સંતો-ભક્તોની પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવાની ઈચ્છા હતી.

હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિ અંગે ગઈકાલે 26 સપ્ટેમ્બરે દિવસભર ચર્ચા થઇ રહી હતી. વડોદરાના સ્વામિનારાયણ સોખડા હરિધામમાં ગાદી મુદ્દે વિખવાદ વધ્યો હતો. અહીં સંતો-હરિભક્તો વચ્ચે જૂથબંધીનો આક્ષેપ થયા હતા. સોખડાની ગાદી પર પ્રેમસ્વરૂપદાસ સ્વામીને આરૂઢ કરવાના કાર્યક્રમમાં જૂથબંધીને કારણે વિવાદ થયો હતો અને હરિભક્તોના હોબાળા બાદ કાર્યક્રમ મુલતવી રખાયો હતો. આ કાર્યક્રમમાં હરિભક્તોએ મોડી રાત સુધી સ્વામિનારાયણની ધૂન બોલાવી કર્યો વિરોધ હતો.જેને કારણે પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદી પર બેસાડવાનો કાર્યક્રમ પાછો ઠેલવો પડ્યો જે બાદ રવિવારે સાંજે આજ મુદ્દે ફરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.પરંતુ વિખવાદને જોતા તે પણ મુલતવી રાખવું પડ્યું.

આ સમગ્ર વિખવાદ બાદ પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીનું સંયુક્ત નિવેદન પણ સામે આવ્યું હતું.સંયુક્ત નિવેદનમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે યોગી ડિવાઇન સોસાયટીના અધિષ્ઠાતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અક્ષરધામગમન બાદ વારસદાર નક્કી કરવા કોઈ જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ન હતું.

એ બાબતે સ્પષ્ટતા કરતાં હરિધામ મંદિરેથી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધજીવન સ્વામીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બરે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અંતર્ધાન થયાનો દ્વિમાસિક સ્મૃતિદિન હોવાથી તેની પૂર્વસંધ્યાએ સ્મૃતિસ્થાને શાંતિથી દર્શન – ભજન થઈ શકે તે માટે કેટલાક ભક્તો એક દિવસ અગાઉ હરિધામ પહોંચ્યા હતા. ઉપસ્થિત ભક્તોમાંથી કેટલાક આગેવાન હરિભક્તોએ હરિધામ પરંપરાના ગાદીપતિ બાબતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જેને વડીલ સંતો – હરિભક્તોની ઉપસ્થિતિમાં સાંભળવામાં આવી હતી.

આ નિવેદનમાં આગળ જણાવાયું છે કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પચાસ વર્ષ પહેલાં યુગકાર્યની શરૂઆત કરી હતી. તેથી સ્વાભાવિક રીતે જ દેશ – વિદેશમાં બહોળો ભક્ત સમુદાય છે. પરમ પૂજ્ય સ્વામીજીની આજ્ઞાથી સંતો વિવિધ વિસ્તારો – પ્રદેશો – દેશોમાં વિચરણમાં જતા હોવાથી ત્યાંના ભક્તોને તેમના પ્રત્યે વિશિષ્ટ લાગણી હોય શકે છે. ભક્તો કોઈપણ પ્રસંગે એકત્ર થાય ત્યારે ઉચ્ચ સ્વરે ‘સ્વામિનારાયણ ‘ મહામંત્રની ધૂન કરીને કાર્યમાં પ્રભુની કૃપા માટે પ્રાર્થના કરે તે સંપ્રદાયની પ્રણાલિકા છે.

એ પ્રમાણે 25 સપ્ટેમ્બરે સાંજે પહેલાં ‘સ્વામિનારાયણ ‘ મહામંત્રની ધૂન કર્યા બાદ કેટલાક ભક્તોએ વડીલો પાસે પોતાની વાત મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ભક્તોએ વિવેકપૂર્વક રજૂ કરેલી લાગણી વડીલ સંતોએ શાંતિથી સાંભળી છે. હરિધામ પરંપરાના સૂત્રધારનો નિર્ણય પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યત આપેલા આત્મીયતા તેમજ સંપ , સુહૃદભાવ , એકતા અને દાસત્વના ઉપદેશને દ્રષ્ટિમાં રાખીને જ કરવામાં આવશે તે સ્પષ્ટ છે.

Published On - 4:18 pm, Mon, 27 September 21