Pavagadh Temple: પંચમહાલમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરને વધુ 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના સંક્રમણ અને હાલની સ્થિતિને જોતા વધુ 10 દિવસ સુધી માતાજીના દર્શનથી ભક્તો વંચિત રહેશે. આગામી 8મી મે સુધી યાત્રાધામ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે માતાજીના ઓનલાઈન દર્શન ભક્તો કરી શકશે.
ગુજરાતમાં વકરી રહેલા કોરોનાએ હવે ઈશ્વરના ધામને પણ નથી છોડ્યા. સ્થિતિ એટલી વણસી રહી છે કે મંદિરો બંધ કરવા પડી રહ્યા છે.. જે મંદિરોમાં બેસીને ભક્તો શાંતિ મેળવતા હતા તે મંદિરો જ કોરોનાને કારણે બંધ થઈ રહ્યા છે.. દ્વારકાના વિવિધ મંદિરોથી લઈને મહેસાણાના બહુચરાજીમાં આવેલા મોટા મંદિરોના કપાટ ભક્તો માટે બંધ કરવાની ફરજ પડી છે.
ક્યા ક્યા મંદિરો બંધ રખાયા હતા
પવિત્ર યાત્રાધામ શામળાજી(Shamlaji Temple) મંદિર વધુ 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અરવલ્લી જિલ્લામાં વધી રહેલા સંક્રમણને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રામનવમી (Ramnavmi)ના પર્વે મંદિરમાં ભક્તો વગર જ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે અગાઉ સંક્રમણને પગલે શામળાજી મંદિર 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો ત્યારે વધુ 10 દિવસ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાતા ભક્તો શામળીયાના દર્શનથી દુર રહ્યા હતા.
કોરોના સંક્રમણ અટકાવવા દ્વારકાના તમામ ધાર્મિક સ્થળ અને ફરવાલાયક સ્થળ બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો.. દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોમતીઘાટ, સુદામાસેતુ, દ્વારકા-રૂક્ષ્મણી મંદિર, મીરા ગાર્ડન, શિવરાજપુર બીચ બંધ રહેશે તો આ તમામ સ્થળે શ્રદ્ધાળુઓની મોટી અવર-જવર રહેતી હોવાથી તંત્રએ સાવચેતીના ભાગરૂપે તમામ સ્થળો બંધ કરી દીધા છે
આ તરફ મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી માતાજીનું મંદિર 13 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ટેમ્પલ ટ્રસ્ટે આ નિર્ણય લીધો હતો. 13 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ભક્તો દર્શનથી વંચિત રહ્યા હતા. ચૈત્રી નવરાત્રીનો મહોત્સવમાં પણ ભાવિક ભક્તોમાં નિરાશા વ્યાપેલી જોવા મળી હતી.
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતે ઐતિહાસિક હરસિદ્ધિ માતાજી અને મહાકાળી માતાજી નું મંદિર આવેલું છે. આ બંને મંદિરો ચૈત્રી નવરાત્રી દરમ્યાન 10 દિવસ માટે બંધ કરવાનો તંત્ર અને હિન્દુ દેવસ્થાન કમિટીએ નિર્ણય કર્યો હતો. 12 એપ્રિલથી 22 એપ્રિલ સુધી આ બંને ઐતિહાસિક મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા. રજવાડા સમયમાં મહાકાળી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીમાં મેળો પણ ભરાતો હોઈ છે. પરંતુ વર્તમાન સ્થિતિને જોતા આ મેળો પણ રદ કરવામાં આવ્યો હતો.
જામનગરના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં આવેલું રામદેવજી મંદિર પણ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન તરફથી લેવામાં આવ્યો હતો.. ચૈત્રી બીજના રોજ સેંકડો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન કરવા આવતા હોય છે જો કે આ સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય હોવાથી, ભક્તોની ભીડ એકઠી ન થાય તે માટે મંદિરના ટ્રસ્ટે આ નિર્ણય લીધો હતો. મંદિરમાં થતા આરતી દર્શન, અન્નક્ષેત્ર અને ઉતારામાં દર્શનાર્થીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો