PATAN : વધુ એકવાર સિંચાઈ ખાતાના તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે. પાટણના સાંતલપુર નજીક આવેલી નર્મદાની માઈનોર કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ મહામહેનતે તમાકુનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. રાધનપુર તાલુકાના દેવ ગામની સીમમાંથી પસાર થતી ચલવાડા માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. આ દરમિયાન કેનાલની બાજુની માટી ધોવાઇ ગઇ હતી અને 10 ફૂટનું ગાબડું પડી ગયું હતું. ચલાવાડા માઇનોર કેનાલમાં ગાબડું પડતાં કેનાલનું પાણી આજુબાજુ ખેતરોના ઉભા પાકમાં ફરી વળ્યું હતું. કેનાલ નજીક આવેલ ખેતરમાં તમાકુના વાવેતરમાં કેનાલનું પાણી ફરી વળતા તમામ પાક નિષ્ફળ જશે તેવો ખેડૂતોનો દાવો છે.