નવસારી ( Navsari ) જિલ્લાના ખેડૂતોએ, તાઉ તે વાવાઝોડાથી ( cyclone tauktae ) થયેલ નુકસાનથી ઊભરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. વાવાઝોડાને કારણે આંબા ઉપરની કેરીઓ ટપોટપ ખરવા લાગી હતી. અને કમોસમી વરસાદથી ખરી ગયેલી કેરી પણ ખરાબ થવાની સંભાવના હતી. આવા સંજોગોમાં ખરી ગયેલ કેરીનુ વેલ્યુ એડીશન કરવાની સલાહ, સમયસર ખેડૂતોને મળતા, તેઓ મોટા આર્થિક નુકસાનમાંથી ઉગરી ગયા છે.
નવસારી જિલ્લામાં બાગાયતી પાકનું વાવેતર કરતા ખેડૂતોની વહારે નવસારીની કૃષિ યુનિવર્સિટી આવી છે. તાઉ તે વાવાઝોડાથી ખરી પડેલી કેરી, તેમજ અન્ય બાગાયતી પાકનો, કેવી રીતે મૂલ્યવર્ધીત ઉપયોગ કરી શકાય તે અંગે ખેડૂતોને જાણકારી આપી. કૃષિ યુનિવર્સિટી દ્વારા બાગાયતી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને મૂલ્યવાન મૂલ્યવર્ધિત ઉપયોગની સલાહ મળતા, સૌ ખેડૂતો મોટા આર્થિક નુકસાનમાંથી બહાર નિકળી શકે તેવુ બન્યુ છે.
કૃષિ યુનિવર્સિટી દ્વારા વેબિનાર યોજીને, 200થી 300 રૂપિયે મણ વેચાતી કેરીમાં કેવી રીતે વધુ નાણા કમાવવા અને વાવાઝોડા તેમજ કમોસમી વરસાદથી ખરાબ થઈ રહેલ પાકનો કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજણ આપવમાં આવી હતી. ખાસ કરીને મહિલાઓેને આ કામગીરીમાં કેવી રીતે જોડી શકાય અને તેમના થકી પાકનો કેવો સદઉપયોગ કરવો તેની સલાહ અપાઈ હતી.
નવસારી કૃષિ યુનવર્સિટી દ્વારા યુવા ખેડૂત અને મહિલાઓને તાલીમ આપી પોતાના ઉત્પાદનમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય તે બાબતે અવગત કરાવ્યા. તાઉ તે વાવાઝોડાને કારણે, આંબા, ચીકુ સહીતના બાગાયતી પાકને વ્યાપક નુકશાન થયુ હતુ. તેમજ પાકી અને કાચી કેરીને પણ એટલુ જ નુકશાન થવા પામ્યુ હતું. પરંતુ ખરી પડેલ ફાળને કારણે વધુ નુકસાન ના થાય તે માટે 10 થી વધારે મહિલાઓને તાલીમ આપવામાં આવી.
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા તાલિમ પામેલ મહિલા અને ખેડૂતોએ, કેરીના અથાણા, છુંદો, ચટણીસ કેરીનો મુરબ્બો, આમચૂર્ણ વગેરે જેવી ખાદ્ય વસ્તુઓ બનાવીને કેરીના પાકનું મૂલ્યવર્ધન કરી તેનું વેચાણથી સારી આવક મેળવી. તાઉ તે વાવઝોડાથી થયેલું નુકશાન ભરપાઈ કરવા સક્ષમ બની.