અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC) ભવ્ય જીત બાદ મેયર પદનો તાજ કોને પહેરાવાશે ? આ માટે કેટલાક નામ ચર્ચામાં છે. અમદાવાદનું મેયર પદ SC અનામત હોવાથી ત્રણ નામ હાલમાં ચર્ચામાં છે. અમદાવાદના મેયર પદ માટે ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમારનું નામ રેસમાં છે. આ ઉપરાંત જોધપુર વોર્ડના અરવિંદ પરમાર કે નવરંગપુરા વોર્ડના હેમંત પરમાર પણ મેયર પદની રેસમાં છે. અમદાવાદના મેયર પદના નામ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ પણ અત્યંત મહત્વનું મનાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે થલતેજ વોર્ડના હિતેશ બારોટ, ઘાટલોડિયા વોર્ડના જતીન પટેલ કે પાલડી વોર્ડના જૈનિક વકીલનું નામ ચર્ચામાં છે. આ ત્રણ નેતાઓ પૈકી કોઈ એકને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું મોભાદાર પદ મળે તેવી શક્યતા સૌથી વધારે છે.