Surat : કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ માથું ઊંચક્યું, વધુ બે દર્દીઓના મોત

|

May 19, 2021 | 12:29 PM

કોરોના વાઇરસના અલગ અલગ વેરિઅન્ટના ફેલાવા વચ્ચે હવે કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ એટલે કે ફંગસના કેસોએ ચિંતા વધારી છે.

Surat: કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના વાઇરસના અલગ અલગ વેરિઅન્ટના ફેલાવા વચ્ચે હવે કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ એટલે કે ફંગસના કેસોએ ચિંતા વધારી છે.

કોરોના સંક્રમણની સારવાર લઈ સાજા થતા દર્દીઓમાં હવે મ્યુકોરમાઈકોસિસનું જોખમ વધી રહ્યું છે. ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને મ્યુકોરમાઈકોસિસનો ખતરો વધારે રહે છે. નાક, આંખ અને બાદમાં મગજ પર અસર કરતા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની વિવિધ વિભાગના નિષ્ણાત તબીબો સારવાર કરી રહ્યાં છે.

સુરતમાં પણ મ્યુકોરમાઇકોસિસએ માથું ઊંચક્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લાના 38 વર્ષીય ચેતન અને સુરતના વેલાન્જાના 60 વર્ષીય લીલાબેનનું મ્યુકોરમાઇસોસિસના કારણ મોત નીપજ્યું છે. આ બંને દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.સુરતમાં મ્યુકોરમાઇકોસિસના આજે બે દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆક 10 થયો છે.

જેમાં નવી સીવીલમાં 7 અને સ્મીમેરમાં 3 દર્દીઓના મોત મ્યુકોરમાઇકોસિસના કારણે થયા છે. નવી સીવીલમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 27 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. જયારે સ્મીમેરમાં 9 દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

નવા કેસની વાત કરવામાં આવે તો નવી સીવીલ હોસ્પિટલમાં 4 અને સ્મીમેરમાં 2 નવા કેસ નોંધાયા છે. સુરતમાં નવી સીવીલ અને સ્મીમેર હોસ્પિટલ મળી અત્યાર સુધી કુલ 175 દર્દી નોંધાયા છે. સિવિલમાં હાલ 76 અને સ્મીમેર હોસ્પિટલમાં 30 દર્દીઓ સારવાર હેઠળ છે.

સરકારે તેનાથી બચવાના પાંચ ઉપાયો જાહેર કર્યા છે. સરકારે જાહેર કરેલા ઉપાયોની વાત કરીએ તો, કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો.

કોરોનાની સારવાર દરમિયાન છઠ્ઠા દિવસ પછી જરૂર જણાય તો જ સ્ટિરોઈડનો ઉપયોગ કરવો. સ્ટિરોઈડનો ઉપયોગ પણ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ કરવો. કોરોનાનો દર્દી ઓક્સિજન ઉપર હોય તો તેના માસ્કમાં પાણીના ટીપા બાઝે તો તેને સાફ કરવા અને અન્ય પાણીનો ઝડપથી નિકાલ કરવો.

કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય સાફ સફાઈ જાતે થાય તો કરવી અથવા વોર્ડ બોય દ્વારા સફાઈ કરાવવી. મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ. આ બિમારીને ઝાયગોમાઈકોસિસના નામે પણ ઓળખાય છે.

Next Video