MORBI : ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓની જનઆશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળ એવા મોરબી જિલ્લાના ટંકારા ખાતે આયોજિત વિવિઘ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો. મોરબીમાં તેમણે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને રસી લેવા આવનારા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે મોરબીમાં પત્રકારોને સંબોધન પણ કર્યું હતું. જેમાં દુધમાં ભેળસેળ અંગે તેમણે નિવેદન આપ્યું હતું.
દૂધમાં ભેળસેળઅંગે કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે.તેમણે દૂધમાં ભેળસેળ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, દૂધમાં ભેળસેળ કરનારાઓને બચાવવાનો કોઈ ઈરાદો નથી.તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.પરંતુ દૂધ ક્ષેત્રને બદનામ કરવાનું આ ષડયંત્ર છે.ભેળસેળ અટકાવવા જે ટેક્નોલોજીની જરૂર પડશે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળી કામ કરશે.
બે દિવસ પહેલા રાજકોટ શહેરમાં નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો હતો. દરરોજ અંદાજિત 10 હજાર લિટર શંકાસ્પદ દૂધ ઘૂસાડવાનું કૌભાંડ સામે આવ્યું હતું. માલવિયાનગર પોલીસે એક હજાર લિટર દૂધનો નાશ કર્યો હતો. આ મામલે પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી હતી. ઉપલેટા તાલુકાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ 10 હજાર લિટર દૂધ ઠલવાતું હોવાનું ખુલ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રોજ રાત્રે 1 કલાકે દૂધનો જથ્થો નીકળી જતો હતો અને આ દૂધનો જથ્થો સવારે રાજકોટ પહોંચતો હતો.
આ પણ વાંચો : જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું વીજળી મીટર કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે