બહુચરાજીના શંખલપુરમાં 9મા પાટોત્સવની ઉજવણીઃ આનંદનો ગરબો, નવચંડી, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

બહુચરાજીથી બે કિલોમીટરના અંતરે આવેલા બહુચર માતાજીના સદીઓ જૂના પ્રાચીન મંદિરે માતાજીની 8 ફૂટ ઊંચી ધવલવર્ણી પ્રતિમા સ્થાપિત કરાયાના 9મા વર્ષે મહા સુદ આઠમના પવિત્ર દિવસે પાટોત્સવ કોરોના ગાઇડ લાઇનને ધ્યાને લઈ સાદગીપૂર્ણ રીતે ઊજવવામાં આવ્યો હતો

બહુચરાજીના શંખલપુરમાં 9મા પાટોત્સવની ઉજવણીઃ આનંદનો ગરબો, નવચંડી, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
બહુચરાજીના શંખલપુરમાં 9મા પાટોત્સવની ઉજવણી
| Edited By: | Updated on: Feb 08, 2022 | 3:27 PM

મહેસાણા (Mahesana) જિલ્લાના પ્રસિદ્ધ અને મા બહુચરના આદ્યસ્થાન બહુચરાજી (Bahucharaji) ના શંખલપુર સદીઓ જૂના પ્રાચીન બહુચરાજી મંદિરે બે વર્ષ બાદ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે.યાત્રાધામ શંખલપુર (Shankhalpur) માં બહુચરાજી માતાજીની 8 ફૂટ ઊંચી ધવલવર્ણી પ્રતિમા સ્થાપિત કરાયાના 9મા વર્ષે આજે મંગળવારે મહા સુદ આઠમના પવિત્ર દિવસે નવમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે. કોરોના કાળમાં કોરોના (Corona) ગાઇડ લાઇનને ધ્યાને લઈ સાદગીપૂર્ણ રીતે આનંદના ગરબા,પાઠ પૂજા,નવચંડી અને ભજન કીર્તન સાથે અન્નકૂટ પ્રસાદ સાથે નવમાં પાટોત્સવની ઉજવણી કરાઈ છે.

બહુચરાજીથી બે કિલોમીટરના અંતરે આવેલા બહુચર માતાજીના સદીઓ જૂના પ્રાચીન મંદિરે માતાજીની 8 ફૂટ ઊંચી ધવલવર્ણી પ્રતિમા સ્થાપિત કરાયાના 9મા વર્ષે મંગળવારે મહા સુદ આઠમના પવિત્ર દિવસે 9મો પાટોત્સવ કોરોના ગાઇડ લાઇનને ધ્યાને લઈ સાદગીપૂર્ણ રીતે ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આનંદના ગરબા, નવચંડી યજ્ઞ, અન્નકૂટ અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

સવારે બહુચર માતાજીના સાનિધ્યમાં આનંદના ગરબાની ધૂનનો મંગલદીપ પ્રગટાવીને પ્રારંભ સનમાર્ટ ઇન્ડસ્ટ્રીઝ મોરબીના માઈભક્ત મકરભાઈ પટેલ અને પ્રાગજીભાઈ પટેલ ઉમા રિસોર્ટના વરદ હસ્તે, શંખલપુર ટોડા ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃતભાઈ પટેલની હાજરીમાં કરાયો હતો. શંખલપુર અને બહુચરાજીના આનંદ ગરબા મંડળની બહેનો અને ભાઈઓ દ્વારા આનંદના ગરબા સાથે માતાજીનાં ગુણગાન ગવાયાં હતાં. પાટોત્સવ નિમિત્તે માતાજીના ચરણે નવચંડી યજ્ઞ તેમજ અન્નકૂટ મનોરથ કરાયો હતો. પાટોત્સવને લઈ દિવસભર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૈયાના દર્શનનો લાભ લઇ ધન્ય બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શંખલપુર સ્થિત પ્રાચીન મંદિરમાં સદીઓથી બહુચર માતાજીની યંત્ર સ્વરૂપે પૂજા થઈ રહી છે. પરંતુ શ્રદ્ધાળુઓ માતાજીનાં મૂર્તિ સ્વરૂપે દર્શન કરી શકે તે માટે શંખલપુર ટોડા ટ્રસ્ટ દ્વારા બહુચર માતાજીની 8 ફૂટ ઊંચી સફેદ આરસથી તૈયાર કરાયેલી નયનરમ્ય પ્રતિમાની આજથી 9 વર્ષ અગાઉ સને 2013માં સ્થાપના કરાઈ હતી. જેના ઉપલક્ષમાં દર વર્ષે મહા સુદ આઠમના દિવસે પાટોત્સવની ઊજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Himmatnagar: પાર્ટટાઈમ જોબ કરવાની લાલચમાં મેડિકલ ઓફિસરે 88.7 હજાર રૂપિયા ગુમાવ્યા, જાણો કઈ રીતે થઈ ઠગાઈ

આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે, ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લે તેવી સંભાવના

Published On - 3:26 pm, Tue, 8 February 22