Gujarat News Fatafat : ગુજરાતભરના આજરોજ 9 જૂન 2021ને બુધવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અહીયા જાણી શકશો.
કલોલના ગાર્ડન સિટીમાં, ગત 22 ડિસેમ્બરે બનેલ ભેદી ધડાકાની ઘટના અંગે, ઓએનજીસી અને બિલ્ડર સામે રૂપિયા 100 કરોડની દંડનાત્મક કાર્યવાહી કરવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં કરાયેલ જાહેર હિતની અરજીના આધારે હાઈકોર્ટે સંબધિત પક્ષકારોને નોટીસ ફટકારીને 4 સપ્તાહ પછી સુનાવણી હાથ ધરાશે.
ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, મા -અમૃતમ્ વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે. હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. જ્યા સુધી નવા કાર્ડ કાઢવામાં ના આવે ત્યા સુધી જૂના પરિવાર દિઠ એક કાર્ડ પર મળતા લાભ ચાલુ રહેશે.
ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે નિકળશે કે નહી તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગયા વર્ષે મંદિરના મહંતની ઈચ્છા હોવા છતા, રથયાત્રા મંદિર પરીસરની બહાર નહોતી નિકળી શકી. જો કે રથયાત્રાની અનિશ્ચિતતા વચ્ચે આગામી 24મી જૂને જળયાત્રા કાઢવામા આવશે. રથયાત્રા સંદર્ભે સરકારના પ્રતિનિધિ, ઉચ્ચ પોલીસ અધિકારી સાથે મંદિરના ટ્રસ્ટીની બેઠક યોજાશે. જો કો મંદિર ટ્રસ્ટીઓ દ્વારા રથયાત્રા પૂર્વે યોજાતી તમામ ધાર્મિક વિધી વર્તમાન કોરોનાની ગાઈડલાઈન મુજબ સાદગીથી જ ઉજવવાનું નક્કી કર્યું છે.
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ અને મહાનગરમાંથી કોરોનાના નવા કેસના આંકડા સામે આવી રહ્યાં છે, તેના પરથી કહી શકાય કે રાજ્યમાં, કોરોનાની બીજી લહેર સમી રહી છે. એક સમયે જ્યા ત્રણ આંકડામાં કોરોનાના કેસ સામે આવતા હતા ત્યા આજે માત્ર એક જ આકડાના કેસ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના માત્ર નવ જ કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના દર્દીઓનો રિકવર રીટે ( સાજા થવાનું પ્રમાણ ) 98.02 ટકા નોંધાયું છે. રાજકોટમાં આજદીન સુધીમાં કોરોનાના 42,413 કેસ નોંધાયા છે.
Gujarat News Fatafat: રાજ્યમાં ચોમાસાથી થઇ ગઇ છે એન્ટ્રી. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે, હવે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. વલસાડ સુધી મેઘસવારી પહોંચી ગઇ છે જો કે, દક્ષિણ ગુજરાતની બહાર હાલ ચોમાસું આવશે નહીં. મહત્વનું છે કે સામાન્ય કરતા 6 દિવસ પહેલા રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. તેથી હવામાન વિભાગે માછીમારોને આગામી ત્રણથી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે.
Gujarat News Fatafat: સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર શરમજનક સ્થિતિમાં મૂકાય તેવો વીડિયો સામે આવ્યો છે. નવી નગર શિક્ષણ સમિતિના ઉમેદવાર એવા રાકેશ ભિખડીયાનો દારૂની મહેફિલ માણતો વીડિયો સામે આવ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, નેતાજી વિદેશી બનાવટની દારૂની બોટલ અને ભરેલો ગ્લાસ તથા સિગારેટની કશ સાથે જલસો કરી રહ્યા છે. જો કે રાકેશ ભીખડીયાએ આ વીડિયોને વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું છે. મહત્વનું છે કે, મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા 11 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. જેમાં, રાકેશ ભિખડીયાએ 11માં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.
Gujarat News Fatafat: અમદાવાદમાં ફરી એકવાર માતાની મમતા લજવાઈ છે.ઘટના અમદાવાદ રેલવે સ્ટેશન પરની છે.. જ્યાં અજાણી મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજીને રફુચક્કર થઈ ગઈ જેની શોધખોળ CCTV ફૂટેજના આધારે ચાલી રહી છે. જ્યારે બાળકી ચાઈલ્ડ લાઈન સંસ્થાને સોંપાઈ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર એક અજાણી મહિલા દોઢ વર્ષની સૂતી બાળકીને અજાણ્યા પેસેન્જરના ભરોસે છોડી બાથરૂમ જવાનું કહી ત્યાંથી જતી રહી હતી.
થોડા સમય સુધી મહિલા પરત ન ફરી. પેસેન્જરને ટ્રેનનો સમય થઈ ગયો હતો. જેથી તેણે ત્યાં હાજર સુરક્ષા કર્મચારીને બાળકી વિશે જાણ કરી હતી અને ત્યાંથી જતા રહ્યો હતો. થોડા સમય સુધી અજાણી મહિલા પરત ન ફરતા સુરક્ષા જવાન બાળકીને GRP પોલીસ મથકે લઈ ગયો હતો. જ્યાં પોલીસે બાળકીને તરછોડી જનારી મહિલા સામે ફરિયાદ નોંધી હતી અને તેના CCTV ફૂટેજ મેળવ્યા હતા
Gujarat News Fatafat: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને વડોદરા આરોગ્ય તંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળોએ આરોગ્ય કર્મચારીઓ, તબીબો અને નર્સિંગ સ્ટાફ એટેન્ડન્ટની તાલીમ શરૂ કરવામાં આવી છે
Gujarat News Fatafat:
રાજકોટમાં કાગદડી ખોડિયાર આશ્રમના મહંતના મોત અંગે રહસ્યના વાદળો ઘેરાયા છે. રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસનું 1 જૂનના રોજ મૃત્યુ થયું હતું. હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી, પરંતુ આ બનાવમાં મહંતની સુસાઇડ નોટ મળી આવી છે, આથી આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસમાં મહંતના ભત્રીજા, જમાઈ સહિત 3 વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.
રામજીભાઇએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોડીનારના પેઢાવાડા ગામના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામના હિતેશ લખમણભાઇ જાદવ અને રાજકોટના વિક્રમભાઇ દેવજીભાઇ સોહલાનાં નામ આપ્યાં છે, જેમાં હિતેશ ભત્રીજો અને અલ્પેશ મહંતનો જમાઇ થાય છે. આ બંને મહંતને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા તેમજ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપનો લાભ લઈ બંને મહંત પાસેથી અવારનવાર પૈસા પડાવતા હતા તેમજ રાજકોટના વિક્રમે મહંત પર અવારનવાર ત્રાસ ગુજારતો હતો અને મહંતને માર મારતો હતો. આખરે મહંતે માનસિક અને શારીરિક ત્રાસને કારણે કંટાળી ત્રણેય વિરુદ્ધ સુસાઇડ નોટ લખી આશ્રમના ઉપરના રૂમમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 306 અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Gujarat News Fatafat: સુરતમાં જિમ સંચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. રાહત આપ્યા બાદ પણ જિમ શરૂ કરવા જિમ સંચાલકો માંગણી કરી રહ્યા છે. સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં અને વિજળીના ફિક્સ ચાર્જમાં માફી આપવામાં આવી છે પણ જિમ અને ફિટનેસ સેન્ટર બંધ હોવાના કારણે સંચાલકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. શહેરમાં અસંખ્ય જિમને તાળા મારવાનો સમય આવ્યો છે.
Gujarat News Fatafat: AMCએ BU મંજૂરી ન ધરાવતા અલગ અલગ એકમોને સીલ કર્યા છે, જેમાં રાણીપની નવસર્જન શાળાનો પણ સમાવેશ થાય છે ત્યારે શાળાના શિક્ષકો બહાર બેસી વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવી રહ્યા છે સાથે જ નવા સત્રની પ્રવેશ પ્રક્રિયા પણ કોમ્પલેક્ષમાં ખુલ્લામાં કરવામાં આવી રહી છે.
Gujarat News Fatafat: સુરતનાં સરથાણા વિસ્તારમાં ફરી લૂંટેરી દુલ્હનનો આંતક સામે આવ્યો છે. યુવક સાથે લગ્ન કરી રાત્રી દરમિયાન 4.50 લાખનો મુદ્દામાલ લઇ ફરાર થઈ ગઈ હતી. મૂળ મહારાષ્ટ્રની યુવતીએ આવી રીતે 20 જેટલા યુવકને શિકાર બનાવ્યા હોવાની માહિતી બહાર આવી છે. સરથાણા પોલીસે ગુનો નોંધી લૂંટેરી દુલ્હનને ઝડપવા તપાસ આરંભી છે. બે દિવસ પહેલા વરાછા વિસ્તારમાં આ જ રીતે લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
Gujarat News Fatafat: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાતથી સવાર સુધી પ્રદેશમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બાલદેવી નજીકથી પસાર થતી ખાડી બે કાંઠે વહેવા લાગી છે. જો કે ખાડી બે કાંઠે વહેતી થતાં લોકોમાં માછલી પકડવા લાગી હોડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે ( SOG ) દ્રારકા નજીકથી ગાંજાની ખેતી કરતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. દ્વારકા નજીકના ખેતરમાં 55 કિલો ગાંજાનું વાવેતર કર્યું હતું. જેની બજાર કિંમત આશરે પાંચ લાખ રૂપિયા થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના SOGએ ઝડપી પાડેલા શખ્સની વધુ પુછપરછ હાથ ધરી છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં આજે રાજ્ય પ્રધાનમંડળની બેઠક યોજાશે. આ બેઠકમાં, કોરોનાની રસીકરણ અંગેની કાર્યવાહીની સમિક્ષા હાથ ધરાશે. તાઉ તે વાવાઝોડાએ વેરેલા વિનાશ અંગે સર્વે રિપોર્ટ ઉપર પણ ચર્ચા કરાશે. ધો. 10 અને 12 પછીની પ્રવેશ પ્રક્રિયાને લઈને પણ ચર્ચા વિચારણા કરાવામાં આવે તેવી સંભાવના છે.
Published On - 11:10 pm, Wed, 9 June 21