Daily News Brief : ગુજરાતભરના આજરોજ 31મી મે 2021ને સોમવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અહીયા જાણી શકશો.
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 31 મે ના રોજ 2 હજારથી પણ ઓછા નવા કેસો નોંધાયા છે, આ સાથે 4,721 દર્દીઓ સાજા થયા છે. કોરોના વિરૂદ્ધની લડાઈમાં આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ગઈકાલે 29 અને 30 મે ના રોજ ગુજરાતમાં દૈનિક રસીકરણનો આંકડો 2 લાખ નજીક રહ્યાં બાદ આજે 31 મે ના રોજ રસીકરણનો આંકડો 2 લાખને પાર થયો છે.
ધાર્મિક વ્યક્તિઓને ટાર્ગેટ કરતી એક નાગા બાવાની ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ તાજેતરમાં એક ગુનાને અંજામ આપ્યો હતો. વાસણા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ આબેહૂબ બાવા બનીને લોકોને ફૂંક મારવાનું કહી દાગીના પડાવતા અને આશીર્વાદ આપવાનું કહી ફરાર થઈ જતા. વાસણા પોલીસે નકલી બાવા ટોળકીમાં સાગર નાથ મદારી, સાહેબનાથ મદારી, રાજુનાથ ભાટી અને વિજય નાથ ગોસાઈ આ તમામ લોકો દહેગામના રહેવાસી છે.
Covid-19 Vaccination : રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે, અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા અપાશે. આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે વિધાર્થીઓને વૅક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે. આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
સુરતમાં કોરોનાના કેસોને કાબુમાં લાવવામાં સુરત મનપા તંત્રની કામગીરી પ્રશંસનીય રહી છે. જુલાઈ 2020માં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો રેટ 61.84 % હતો, તે હાલમાં 96.06% પર પહોંચી ગયો છે. એટલું જ નહીં પોઝિટિવિટી રેટ 1%થી પણ નીચે પહોંચી ગયો છે. જેનો શ્રેય સુરત મહાનગરપાલિકાની ટીમ અને ટીમના કેપ્ટન એવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (Banchhanidhi Pani)ને જાય છે.
જિલ્લામાં થયેલ બહુ ચર્ચિત બિલ્ડર હત્યા કેસ માં સંડોવાયેલ મુખ્ય સૂત્રધારને તાપી પોલીસે મહારાષ્ટ્રના પ્રકાશા પાસેથી ઝડપી પાડ્યો છે, હત્યારાઓને સોપારી આપનાર ખટીક નામના ઈસમે બિલ્ડરની હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ બિલ્ડરની હત્યા શા માટે કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ હજુ પોલીસ જાણી શકી નથી.
રાજ્યમાં કોરોનાની બીજી લહેર પૂર્ણતાને આરે છે, ત્યારે ત્રીજી લહેર માટે તંત્રએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્રીજી લહેરમાં કોરોનાનો સામનો કરી શકાય તે માટે અંબાજી (Ambaji) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) સ્થાપવાની શરૂઆત કરી છે.
અમદાવાદ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ ગ્રેબિગ કમિટીની બેઠકમાં, સરકારની જમીન પચાવી પાડનારા વધુ કેટલાક ભૂમાફિયા વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. સરકારની જમીન પચાવી પાડવાના વધુ આઠ કિસ્સા કમિટીના ધ્યાને આવ્યા છે. જેમાં 33 ભૂમાફિયા સામે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં સરકારની કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી લગડી જેવી જમીન પચાવી પાડવાના કુલ 16 કેસમાં 53 વ્યક્તિઓ સામે ગુનો લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાયો છે. અને રૂપિયા 1350 કરોડની બજાર કિંમતની સરકારી જમીન ભૂમાફિયા પાસેથી મુક્ત કરાવી છે.
ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેરને ખાળવા માટે, એસટી નિગમ અને સરકારે મુસાફરોની ઓછી ક્ષમતા સાથે એસટી બસ દોડાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે ગાંધીનગર ડેપોએ સવારના 6થી રાત્રીના 9 વાગ્યા સુધી બેઠક ક્ષમતાના 75 ટકા મુસાફરોની ક્ષમતા સાથે એસટી બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર એસટી ડેપોની 90 ટકા બસ વડોદરા, સુરત, અમદાવાદ સહીતના રૂટ ઉપર દોડતી કરાઈ છે. જુદા જુદા 70 રૂટ ઉપર બસ દોડાવતા સ્થગીત થઈ ગયેલી આવક પણ વધી છે. બસ બંધ હોવાથી રોજનું 3થી 4 લાખનું નુકસાન થઈ રહ્યું હતું. જો કે 70 ટકા રૂટ પર બસ દોડાવતા, આવકમાં 30 ટકાનો વધારો થયો છે.
અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજે ભગવાન જન્નાથની ( Bhagwan Jagannath) નિકળતી રથયાત્રા ( Rathyatra ) આ વર્ષે પણ નિકળશે તેને લઈને ભગવાનના મોસાળ એવા સરસપુર ખાતે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે કોરોના કાળમાં નિકળનારી રથયાત્રા અંગેની માર્ગદર્શીકાઓ હજુ તૈયાર નથી કરાઈ.
ભગવાન જગન્નાથનુ રથયાત્રામાં સરસપુર મોસાળ ( saraspur mosal ) દ્વારા મામેરુ કરાય છે. આ વખતે ભગવાનને રજવાડી વાધા ( Rajwadi vagha ) પહેરાવવામાં આવશે. રજવાડી થીમ ઉપર અલંકાર તૈયાર કરવામાં આવ્યા છે. સાથોસાથ મોસાળુ કરવા માટે અત્યાર સુધી ચાલી આવતી પ્રથામાં પણ ફેરફાર કરાયો છે. હવે મામેરા માટે કોઈ વેઈટીગ લિસ્ટ નથી. જો કે આ વખતે મોસાળા માટે કોણ યજમાન હશે તે અંગે હજુ નિર્ણય નથી કરાયો.
ગુજરાતમાં કોરોનાની લહેર ઓછી થતા, ભાવિક ભક્તો માટે કડક છુટછાટ સાથે વિવિધ મંદિરો ખોલવામાં આવી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર, ભાવિક ભક્તો શામલાજીના દર્શન કરી શકે તે માટેઆવતીકાલ પહેલી જૂનને મંગળવારથી ખૂલશે . સોશિયલ ડિસ્ટન્સ રાખવા સાથે માસ્ક પહેરેલા ભક્તજન શામળાજી મંદિરએ દર્શન કરી શકશે. કોરોનાની ફરી વળેલ બીજી લહેરને કારણે શામળાજી મંદિર છેલ્લા દોઢ મહિનાથી ભાવિક ભક્તો માટે બંધ હતુ.
અરબી સમુદ્રમાંથી જૂનાગઢ, ગીરસોમનાથ સહીતના વિસ્તારોને ઘમરોળી નાખનાર તાઉ તે વાવાઝોડાએ મચાવેલી તબાહીનો ભોગ હજુ પણ ગીરગઢડાના ગ્રામ્યજનો બની રહ્યાં છે. 13 દિવસ બાદ પણ ગીરગઢડા તાલુકાના સોનપરા ગામ વિજળી વિના રહ્યું છે. વિજ પૂરવઠો ના હોવાથી ગામમાં પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ છે.
વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીથી એક બાઈક ચાલકનુ મોત નિપજ્યુ છે. વડોદરા શહેરમાં જાહેર માર્ગ ઉપરની ડ્રેનેજની સાફ સફાઈ કર્યા બાદ, ઢાંકણુ બંધ નહી કરાતા, બાઈક ચાલક રાત્રીના અંધકારમાં પટકાયો હતો. જેનુ મોત નિપજ્યુ છે. વડોદરાના હાઈ ટેન્શન રોડ ઉપર આવેલ પ્રકૃતિ એપાર્ટમેન્ટ પાસેના રોડ ઉપર ડ્રેનેજની સાફ સફાઈ કરવામાં આવી હતી. સાફ સફાઈ બાદ ડ્રેનેજનુ ઢાંકણુ બંધ નહી કરાતા અને રાત્રીનો અંધકાર હોવાથી બાઈક ઉપર નિકળેલા 45 વર્ષીય પ્રૌઢ બાઈક સાથે પટકાયા હતા.
ઉતર ગુજરાતના પાંચ જિલ્લાાં કોરોનાની રસીકરણની કામગીરી 25 ટકા પૂર્ણ કરી દેવાઈ છે. સૌથી વધુ કોરોનાની રસી બનાસકાંઠા જિલ્લામાં 8.36 લાખ લોકોને આપી દેવાઈ છે. તો મહેસાણા જિલ્લામાં 6.23 લાખ લોકોને રસી અપાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં 4.10 લાખ લોકોને રસી આપી દેવાઈ છે. તો અરવલ્લીમાં 3.42 લાખ લોકોને રસી આપવામાં આવી છે. સૌથી ઓછી પાટણ જિલ્લામાં 2.84 લાખ લોકોને રસી આપવામાં આવી છે.
બનાસકાંઠાના અમીરગઢ ખાતે આવેલ સ્કુલ પાસેથી, ઘાતકી હત્યા કરાયેલ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. અમીરગઢની મોડલ સ્કુલની પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહ ઉપર તીક્ષ્ણ હથીયારના અસંખ્ય ધા હોવાનું જણાયુ છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ મહિલીની હત્યા કોઈ અન્ય સ્થળે કરીને મૃતદેહ મોડલ સ્કુલ નજીક નાખીને હત્યારા ફરાર થઈ ગયા હોઈ શકે છે. અમીરગઢ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં કોરોના તો કાબુમાં આવી ગયો છે પરંતુ હવે મ્યુકરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે. સુરતની હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના વધુ છ દર્દીઓ દાખલ થયા છે. જ્યારે એક દર્દીનુ મોત નિપજ્યુ છે. સુરત શહેરમાં અત્યાર સુધી મ્યુકરમાઈકોસીસથી કુલ 28 દર્દીના મોત નિપજ્યા છે. સિવીલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના કુલ 13 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. સુરત શહેરમા મ્યુકરમાઈકોસીસના કુલ 170 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાંથી આરોગ્યને લગતો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જન્મના 12 કલાકમાં જ નવજાત શીશુને Mis C થયો છે. નવજાત શીશુની માતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેને કોરોના થયો હતો. કોરોના થયાના દોઢ માસ બાદ આ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શીશુના જન્મના માત્ર 12 જ કલાકમાં Mis C રોગ થતા તબીબો પણ ચોકી ઉઠ્યા છે. હાલ આ બાળકને ખાનગી હોસ્પિટલમાં, ઓક્સિજન સહીતની જરૂરી સારવાર માટે આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો છે. અને નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર આપવામાં આવી રહી છે. જન ઉપર રાખવામાં આવ્યું
ગુજરાત હાઈકોર્ટે ગત સપ્તાહે બીયુ પરમીશન ( BU Permission ) અને ફાયર સેફ્ટીના મુદ્દે દાખવેલી કડકાઈ બાદ, વિવિધ મહાનગરપાલિકાનુ તંત્ર દોડતુ થયુ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમીશન ના ધરાવતી ઈમારતોની ઓફિસ, દુકાન, શોરૂમ, ગોડાઉન વગેરેને સીલ કરવાની કામગીરી શરૂ કરી છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ( AMC ) સપાટો બોલાવીને અત્યાર સુધી બીયુ પરમિશન ( BU Permission ) વિના ઘમઘમતી ઈમારતોની દુકાન, શોરૂમ, ઓફિસ સીલ કરી છે.
ફાયર સેફ્ટીના મુદ્દે સુરત મહાનગરપાલિકાએ કડકાઈ દાખવવાનું શરુ કર્યુ છે. ફાયર સેફ્ટીના પૂરા સાધનો ના હોય તેવી 18 હોસ્પિટલોને સુરત મહાનગરપાલિકાએ સીલ કરી દીધી છે. સુરત ફાયર બ્રિગેડ દ્વારા અગાઉ આ હોસ્પિટલોને ફાયર સેફ્ટીના મુદ્દે નોટીસ આપી હતી. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આવી નોટીસને ઘોળીને પી ગયા હતા. અને ફાયર સેફ્ટીના જરૂરી સાધનો લગાવ્યા નહોતા.
જો કે ગુજરાત હાઈકોર્ટે ગત સપ્તાહે ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન મુદ્દે દાખવેલી કડકાઈ બાદ, ગુજરાતના વિવિધ સત્તાતંત્રના ફાયર વિભાગ રાતોરાત જાગ્યુ છે. અને ફાયર સેફ્ટી મુદ્દે તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને કોરોના થતા, સોશિયલ મિડીયામાં તેમના વિરુધ્ધ આપત્તિજનક કોમેન્ટ પોસ્ટ કરનાર એક વ્યક્તિ સામે નેત્રગ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. સાહિલ પઠાણે ફેસબુક ઉપર સાંસદ મનસુખ વસાવા માટે RIP in Advance લખ્યુ હતું. આ અંગેનો ગુન્હો નોધીને નેત્રંગ પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાત એટીએસ ( ATS ) જૂહાપુરાના કુખ્યાત આરોપી કે જેની સામે હત્યા અને ગોળીબાર કરવાના કેસ નોંધાયો છે તેની ભરૂચમાંથી ધરપકડ કરી છે. અમદાવાદના જૂહાપુરામાં વિસ્તારમાં ફાયરીંગ અને હત્યાના ગુનામાં વોન્ટેડ એવા અઝહર શેખ ઉર્ફ અઝહર કીટલીને ગુજરાત ATSની ટીમે ભરૂચમાંથી ઘઈ મોડી રાત્રે ઝડપી પાડ્યો છે.
આરોપી અઝહર કીટલી કોઇ મોટી ઘટનાને અંજામ આપવાનો હોવાની બાતમી માળતા ATS સક્રિય થઇ હતી અને તેને પકડી પાડ્યો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અઝહર કીટલીએ એક મોટી લૂંટ કર્યાની પણ કબૂલાત કરી છે. જો કે તે લૂંટને લઇને હજૂ સુધી ફરિયાદીએ ફરિયાદ નોંધાવી નથી
રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી, રાજકોટ એસઓજી ( SOG )એ બોગસ ડોકટરને ઝડપી પાડ્યા છે. નેચરોપથીની ડોકટર ના કહેવાય તેવી ડીગ્રીના આધારે એલોપથીની ઘૂમ પ્રેકટીસ કરતા રામદાસ અમરદાસ પરબવાલાને પોલીસે પકડી પાડ્યા છે.
રાજકોટ એસઓજીએ હાથ ધરેલ તપાસમાં, બોગસ તબીબ એવા રામદાસ પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં, તે એલોપેથીની પ્રેક્ટીસ કરતો હતો. તેની પાસેથી રૂપિયા 25 હજારની કિંમતની એલોપથીની વિવિધ દવાઓ, ઈન્જેકશન સહીતની માલ સામગ્રી જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડના નિવૃત કર્મચારી સામે, લાંચ રૂશ્વત બ્યુરોએ ( Acb) અપ્રમાણસર મિલ્કત અંગેનો ગુનો દાખલ કર્યો છે. લાંચ રૂશ્વત બ્યુરોએ ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડના વર્ગ 3ના નિવૃત કર્મચારી એન કે વાલિયા સામે રૂપિયા બે કરોડ કરતા વધુની અપ્રમાણસર સંપતિ અંગે કેસ કર્યો છે.
Published On - 9:54 pm, Mon, 31 May 21