
અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોના જીવનને રોજગારીથી રોશન કરવા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભૂજ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિશ્વ દિવ્યાંગ દિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોને પગભર કરવાના હેતુથી નિમણૂંકપત્રો આપવામાં આવ્યા. 111 દિવ્યાંગોને અદાણી ગ્રુપના વિવિધ પ્રકલ્પો સહિત અન્ય કંપનીઓમાં રોજગારી માટે નિમણૂંકપત્રો આપવામાં આવ્યા છે.
આ પ્રસંગે અદાણી ગ્રુપના ડિરેક્ટર જીત અદાણી, કમિશ્નર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ વી.જે. રાજપૂત, કચ્છના એડિ. કલેક્ટર નિમેષ પંડ્યા. કચ્છ નવનિર્માણ અભિયાનના પ્રમુખ દિપેશ શ્રોફ, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અદાણી ગ્રુપના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે આજે અદાણી પરિવારમાં એક નવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. મુન્દ્રામાં અદાણી સહિત અન્ય કંપનીમાં 100 કરતા પણ વધુ દિવ્યાંગોને પગભર કરવાના પ્રયાસ રૂપે રોજગાર આપવામાં આવ્યો છે. સમાજમાં દરેક લોકોએ આ કાર્યમાં જોડાવું જોઈએ. અમે દિવ્યાંગોને બને એટલી વધુ મદદ કરવા પ્રતિબદ્ધ છીએ.
ફાઉન્ડેશન દ્વારા અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમી ઝોન (APSEZ) તથા કચ્છ જિલ્લાની વિવિધ કંપનીઓનો સંપર્ક કરી દિવ્યાંગોને રોજગારી માટે રજૂઆતના પગલે 111 દિવ્યાંગોની 20 કંપનીઓમાં નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે 50 લાભાર્થીઓને આજીવિકા માટે સાધન સહાય કરવામાં આવી છે. કચ્છના દિવ્યાંગો માટે ઉપલબદ્ધિ ગણાતી આ પ્રવૃત્તિ દેશભરના જિલ્લાઓ માટે પ્રેરણારૂપ છે.
અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંતભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગો માટેનું કામ અદાણી ફાઉન્ડેશન માટે અગ્રીમતાનું કાર્ય છે. 2014-15થી અદાણી ફાઉન્ડેશનના સ્વાવલંબન કાર્યક્રમ દ્વારા દિવ્યાંગોને આત્મનિર્ભર અને આત્મસન્માનથી મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી અદાણી ફાઉન્ડેશન વિશ્વ દિવ્યાંગ દિવસની જિલ્લા અને તાલુકા સ્તરે ઉજવણી કરે છે.
કમિશ્નર વી.જે. રાજપૂતે જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશને પોતાના ઘરેથી જ એક નવી પહેલની શરૂઆત કરી છે. દિવ્યાંગો આપણી મદદના મોહતાજ નથી, તેમનામાં છુપાયેલી પ્રતિભાને ઓળખીને તેમને સમાજમાં પગભર બનાવવા જોઈએ. તેમને મદદ કરવા સરકારે કાયદાકીય વ્યવસ્થા કરેલી છે જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કચ્છમાં દિવ્યાંગોને સરકારી લાભો મળી રહે તે માટે મોબાઈલ કોર્ટ સત્વરે શરૂ કરાશે.