કોરોના (Corona) મહામારી વચ્ચે રાજ્ય સહિત દેશમાં ઓક્સિજનની (Oxygen) અછત સર્જાય. લોકો કુદરતી વાયુના બદલે કુત્રિમ રીતે ઓક્સિજન મળવા મજબૂર બન્યા હતા, ત્યારે લોકોને પર્યાવરણનું જતન સમજાયું. અનેક વિસ્તાર એવા છે જ્યા જગ્યા તો છે પરંતુ જતન કરનારા નથી. ત્યારે અનેક લોકો નિસ્વાર્થ ભાવે પર્યાવરણને સાચવે પણ છે અને તેની સેવા પણ કરે છે.
કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં એક મહંતે 400 થી 500 વૃક્ષો ઉગાડ્યા. વડ, પીપળા, લીમડા, ઉમરા જેવા વૃક્ષોનું જતન કર્યું. 10 વર્ષ પહેલા અહીં માત્ર 50 થી 60 વૃક્ષો હતા, જેની સામે આજે 500 વૃક્ષોનો જાણે કે વેલો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં મહંતે લોકોને અપીલ પણ કરી છે કે લોકો રોપા આપી જાય તે તેમનું જતન કરી મોટા કરશે, કેમ કે મહંતનો ઉદ્દેશ છે માત્ર પર્યાવરણનું રક્ષણ અને જતન.
વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો અને સમૃદ્ધિ લાવો. જો દરેક વ્યક્તિ આ સંકલ્પ સાથે વૃક્ષ વાવવાનું શરૂ કરે તો દર વર્ષે કરોડો વૃક્ષો વાવીને પ્રદેશને હરિયાળો બનાવી શકાય છે. ઘણા લોકો વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરી રહ્યા છે. તેમાંના જ એક છે ધોરાજીના આર્કિટેક વિનુ ઉકાણી. જેઓ છેલ્લા 25 વર્ષથી યુથ હોસ્ટેલના નામની પર્યાવરણ બચાવો સંસ્થા સાથે જોડાયેલા છે.
તેઓ દર વર્ષે 150 થી 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરે છે અને વૃક્ષોને દતક લઈ તેમનું જતન કરે છે. વીનુ ઉકાણી સાથે 100 જેટલા સભ્યો પણ આ સંસ્થા સાથે સંકળાયેલા છે. જેઓ વૃક્ષો વાવીને પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છે. તેમણે ધોરાજી શહેરની મધ્યમાં આવેલા વેરાન બની ગયેલા જનતા ગાર્ડનને દત્તક લઈ લીધો છે અને ધોરાજી ફોરેસ્ટ વિભાગના સહયોગથી આ ગાર્ડનમાં તુલસી, અરડૂસી સહિતના વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.
આજે વિશ્વ પર્યાવરણ દિને ધોરાજીમાં વિવિધ જગ્યાએ મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ગુજરાતના ફોરેસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યમાં ધોરાજી યુથ હોસ્ટેલ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. વૃક્ષોના વાવેતર સાથે લોકોને વૃક્ષોના વાવેતર અને પર્યાવરણનું રક્ષણ કરવા બાબતે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.