ગેરકાયદે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી. રાજ્ય સરકાર ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો આજથી અમલ કરશે. આ કાયદા હેઠળ જમીન પચાવી પાડવા જેવી ગેરકાયદે પ્રવૃતિઓને જડ-મૂળથી નાબૂદ કરવામાં સફળતા મળશે તો કાયદેસરના જમીન માલિકોના હકનું પણ રક્ષણ થશે.
તો જમીન તકરારના કેસનો ઝડપી અને પારદર્શી ઉકેલ આવે તથા ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે સાથે જ કોર્ટ 6 મહિનાની અંદર નિર્ણય પણ સંભળાવશે. આ કાયદામાં કડક સજાની પણ જોગવાઇ હશે. જો જમીન પચાવી પાડવાના કેસમાં કોઇ વ્યક્તિ દોષિત ઠરશે તો આકરા આર્થિંક દંડ સાથે 10થી 14 વર્ષની કેદની સજાની જોગવાઇ હશે તો જમીન પચાવી પાડવા જેવા કેસની યોગ્ય તપાસ થાય તે માટે DySP કક્ષાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે આ કાયદા હેઠળ રાજ્યની સરકારી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, જાહેર ટ્રસ્ટ, ધર્મ સ્થાનકો, ખાનગી માલિકી અને ખેડૂતોની જમીન હડપ કરનારા ભૂમાફિયા અને અસામાજીક તત્વો પર સકંજો કસવા રાજ્ય સરકાર, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ લાવી છે. આ એક્ટ હેઠળ અસલ જમીન માલિકોને ન્યાય મળશે.