વર્ષોથી એક જ જગ્યાએ અડ્ડો જમાવીને બેસેલા અધિકારીઓને લઈને CMO માંથી સૂચના, હવે થશે આ કામ

Gandhinagar: જે અધિકારી કે કર્મચારી ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ અડ્ડો જમાવીને બેઠા છે તેવા દરેક ટોપ ટુ બોટમ અધિકારીઓ બદલવામાં આવશે તેવા અહેવાલ સામે આવ્યા છે.

વર્ષોથી એક જ જગ્યાએ અડ્ડો જમાવીને બેસેલા અધિકારીઓને લઈને CMO માંથી સૂચના, હવે થશે આ કામ
Instruction from Gujarat CM's Office to immediately change the officers who have been performing duty in one place for years
| Edited By: | Updated on: Oct 04, 2021 | 6:16 PM

ગાંધીનગર : મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મહત્વની સૂચના આપવામાં આવી છે. આ સૂચના બાદ લાગી રહ્યું છે કે ઘણા સમયથી એક જ જગ્યા પર અડ્ડો જમાવીને બેસી ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તકલીફ પડવાની છે. જી હા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સૂચન કરવામાં આવ્યું છે કે વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારી અને કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવે. એટલું જ નહીં બાદમાં તત્કાલ તેમને ખસેડી લેવાનું પણ કહેવામાં આવ્યું છે. ગુજરાત સરકારના સચિવાલય સહિત જિલ્લા વહીવટી કચેરીઓમાં આ પ્રક્રિયા હાથ ધરવાના અહેવાલ છે.

તમને જણાવી દઈએ કે જે અધિકારી કે કર્મચારી ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ અડ્ડો જમાવીને બેઠા છે તેવા દરેક ટોપ ટુ બોટમ અધિકારીઓ બદલવામાં આવશે. હાલમાં સચિવાલયના વિભાગો સૂચના અનુસાર એવા અધિકારીઓની યાદી બનાવી રહ્યા છે કે જે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યા પર બિરાજમાન છે.

આ યાદીમાં આવા અધિકારીઓની પોઝિશન, નોકરીનું સ્થળ, બાયોડેટા, તેમની સર્વિસનો રેકોર્ડ અને કેટલા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવે છે તેવી દરેક વિગતો આપવાની રહેશે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર આ યાદી તૈયાર થયા બાદ અધિકારી અને કર્મચારીના સ્થાનમાં ફેરફાર કરવામાં આવશે.

આ યાદી બનાવી અમલમાં મુકવાની સૂચના અનુસાર સચિવાલય ઉપરાંત જિલ્લા વહીવટી કચેરીઓ અને પોલીસ વિભાગમાં પણ ફેરફાર જોવા મળે તેવી શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ચીફ સેક્રેટરીને આ બાબતે સૂચના આપ્યાના અહેવાલ છે. સૂચના આપ્યા પછી અલગ અલગ સરકારી વિભાગોમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને પગલે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે તાજેતરમાં એક આદેશ જાહેર કર્યો હતો. જેમાં તમામ વિભાગના વડાને આ વિશે જણાવવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે વર્ગ-1 થી વર્ગ-3 ના અધિકારીઓની યાદી તૈયાર કરવામાં આવે, કે જેઓ છેલ્લા ત્રણ કે ચાર વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યાં છે.

અહેવાલમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ તેમની કેબિનેટના મંત્રીઓને પણ કોઈ ચોક્કસ અધિકારીને તેમના અંગત સ્ટાફમાં રાખવાનો આગ્રહ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા છ મહિનામાં થયેલી તમામ બદલીઓની સમીક્ષા પણ શરુ થઇ હોવાનો અહેવાલમાં ઉલ્લેખ છે.

 

આ પણ વાંચો: નવરાત્રિ-દિવાળીના તહેવારોને લઇને કોરોનાનું સંકટ, તબીબોએ લોકોને આપી ચેતવણી

આ પણ વાંચો: માતાજીના ભક્તો માટે સારા સમાચાર: નોરતા નિમિત્તે પાવગઢ મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર