ગુજરાતમાં બીજી લહેરના કોરોનાના કેસમાં છેલ્લા એક સપ્તાહથી ઘટાડો, ત્રીજી સંભવિત લહેર સામે સજ્જ

|

May 10, 2021 | 4:33 PM

ભવિષ્યમાં કોરોનાની ત્રીજી લહેર સામે સજ્જ થવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં, નિષ્ણાંત તબીબોની બનેલી ટાસ્કફોર્સના સભ્યો, બાયોટેકનોલોજી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના તજજ્ઞો સાથે બેઠક યોજાઈ.

ગુજરાતમાં કોરોના બીજી લહેરમાં એકાએક નોંધાયેલા કેસની સંખ્યામાં છેલ્લા એક સપ્તાહથી ઉતરોત્તર ઘટાડો નોંધાયો છે. ત્યારે ભવિષ્યમાં કોરોનાની ત્રીજી લહેર સામે સજ્જ થવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં બાયોટેકનોલોજી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના તજજ્ઞો સાથે બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ગુજરાત સરકારના ટાસ્કફોર્સના સભ્યો અને તજજ્ઞ તબીબોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં જો ભવિષ્યમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેર આવે તો, રોગને ઉગતો જ ડામી દેવાની કહેવતની માફક, શરૂઆતથી જ ટ્રીટમેન્ટ, પ્લાનિંગ અને મેડિસિનથી માંડીને અન્ય આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમયબદ્ધ પ્લાનિંગ અંગેની ચર્ચા આજની બેઠકમાં હાથ ધરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે કે ના આવે, આયોજનમાં કોઈ ખામી ના રહેવી જોઈએ. સંભવિત ત્રીજી લહેરની ભયાનકતાને ધ્યાનમાં રાખીને જ ભાવિ આરોગ્યલક્ષી આયોજન કરવુ.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં યોજાઈ રહેલી મહત્વપૂર્ણ બેઠકમાં, રાજ્યના ૯ જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની બનાવેલી ટાસ્ક ફોર્સના સભ્ય એવા તજજ્ઞ તબીબો પણ હાજર રહ્યાં છે. ગુજરાત સરકારે રચેલી ટાસ્ક ફોર્સમાં,  પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ડૉ. દિલીપ માવલંકર,  ડૉ. વી.એન.શાહ,  ડૉ. અતુલ પટેલ,  ડૉ. તુષાર પટેલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર  ડૉ. આર. કે. પટેલ અને  ડૉ. મહર્ષિ દેસાઈનો સમાવેશ થાય છે

ગુજરાતના જાણીતા 9 તજજ્ઞ તબીબોની બનેલી ટાસ્કફોર્સે, અગાઉ પણ ગુજરાત સરકારને કોરોનાની ભયાનક સ્થિતિમાં કોવિડ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, મેડીસીન મેનેજમેન્ટ સહીતના વિવિધ મુદ્દે માર્ગદર્શન અને સેવાઓ આપીને મદદ કરતા રહ્યાં છે.

Published On - 4:09 pm, Mon, 10 May 21

Next Video