GUJARAT : આખરે 8 કલાકની ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ બિલ પસાર કરાયું. ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા બિલ રજૂ થયા બાદ ચર્ચા કરવામાં આવી હતી. સતત 8 કલાકની ચર્ચા બાદ બિલ પસાર કરાયું છે. અને હવે બિલને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે. મહત્વપૂ્ર્ણ છે કે ગુજરાત ધર્મ સ્વાતંત્રતા સુધારા બિલ પસાર થતા લવ જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર રોક લાગશે. ત્યારે બહુમતિથી પસાર થયેલા બિલમાં કડક જોગવાઇ કરવામાં આવી છે.
જોગવાઇની જો વાત કરીએ તો, કાયદાના ભંગ બદલ કસુરવાન વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા-2 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે. જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે સારી જીવનશૈલી, દેવીકૃપાનો વાયદો કરી અને ખોટા નામ ધારણ કરીને ધર્મ પરિવર્તનના બનાવો બની રહ્યા છે.
તો ધર્મ પરિવર્તનના હેતુ માટે સ્ત્રીઓને લગ્ન માટે લલચાવવાના બનાવો વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. લગ્ન કરીને અથવા કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનુ જરૂરી લાગતા હવે સરકાર આ કિસ્સામાં કડક વલણ અપનાવી રહી છે. બિલ પસાર કર્યા બાદ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી. અને આ બિલથી તમામ ધર્મની દીકરીઓ સલામતીનો અહેસાસ કરશે તેવો દાવો કર્યો. સાથે જ દીકરીઓ સાથે છળકપટ કરનારા તત્વો જેર થશે તેવો આશાવાદ રજૂ કર્યો.