સુરતમાં કોરોનાની સ્થિતિ સૌથી ગંભીર છે. રોજબરોજ કોરોનાના અનેક દર્દીઓ સારવાર માટે હોસ્પિટલ આવી રહ્યાં છે. કોરોનાની દર્દીઓની સંખ્યામાં દિવસને દિવસે ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકોએ, કોરોનાના શરૂઆતી લક્ષણો હોવા છતા દાખવેલી બેદરકારીને કારણે, તેમના આરોગ્યની સ્થિતિ ગંભીર બની છે. આવા દર્દીઓ માટે રામબાણ રેમડેસિવીર ઈન્જેકશન ( Remedisivir injection) છે. પરંતુ ચારેબાજુ કોરોનાના દર્દીઓને રેમડેસિવીર ઈન્જેકશનની જરૂર પડી હોવાથી, ઈન્જેકશનનો જથ્થો સમગ્ર રાજ્યમાં જરૂરીયાત મુજબ વહેચાતો હોવાથી તંગી ઉભી થઈ છે.
સુરતમાં રેમડીસીવીર ઈન્જેકશન મેળવવા માટે કોરોનાના ગંભીર દર્દીઓના પરિવારજનો રાતભર કિરણ હોસ્પિટલની બહાર લાઈન લગાવીને ઊભા રહે છે. ગઈકાલે ગુજરાત સરકારે કિરણ હોસ્પિટલને 10,000 રેમડેસિવીર ઈન્જેશનનો જથ્થો પૂરો પાડ્યો હોવાથી, કોરોનાના દર્દીઓના પરીવારજનોએ ઈન્જેકશન મેળવવા લાઈન લગાવી હતી. હાલ રેમડેસિવીર ઈન્જેશનની એટલી બધી અછત છે કે, લોકોને એક એક રેમડેસિવીર ઈન્જેશન માટે ઠેર ઠેર ભટકવું પડે છે.
રેમડેસિવીર ઈન્જેશન મેળવવા માટે ખુદ કોરોનાના દર્દીઓના પરીવારજનો જ કોવીડ19ની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યાં છે. અને કોરોનાથી સંક્રમિત થાય તે રીતે લાઈન લગાવીને ઊભા હોય છે. રેમડેસિવીર ઈન્જેશન મેળવવા માટે લાગેલી લાઈનમાં સહેજ પણ સોશિયલ ડિસ્ટન્સ જણાતો નથી.
Published On - 11:40 am, Sun, 11 April 21