Gir Somnath : સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધામાં વધારો, સોમનાથથી ગોલોકધામ દર કલાકે બસ સેવાનો પ્રારંભ

સોમનાથ મંદિરથી ગોલોકધામ તીર્થ સુધી પ્રત્યેક કલાકે બસ મળી રહે તે માટેની સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આવનાર ભક્તો સરળતાથી ગોલોકધામ પહોંચી શકે.

Gir Somnath : સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધામાં વધારો, સોમનાથથી ગોલોકધામ દર કલાકે બસ સેવાનો પ્રારંભ
Golokdham Somnath
| Edited By: | Updated on: Aug 03, 2023 | 7:31 AM

Gir Somnath : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ (Somnath Mahadev) જ્યાં બિરાજમાન છે એવા પ્રભાસ તીર્થમાં આવનાર ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યાત્રીલક્ષી સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો ગોલોકધામ તીર્થનો અચૂક લાભ લઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો Gir Somnath: પદ્મિની એકાદશી પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામમાં શ્રીનાથજીની ઝાંખી યોજાઈ- જુઓ તસ્વીરો

સોમનાથ મંદિરથી ગોલોકધામ તીર્થ સુધી પ્રત્યેક કલાકે બસ મળી રહે તે માટેની સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આવનાર ભક્તો સરળતાથી ગોલોકધામ પહોંચી શકે છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમારના હસ્તે સોમનાથ મંદિરથી બસ સુવિધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો.

ગોલોકધામ તીર્થ ખાતે યાત્રી કેન્દ્રીય સુવિધાઓમાં વધારો

ગોલોકધામ તીર્થ ખાતે આવનાર શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણની ચરણપાદુકાનું પૂજન અને અભિષેક કરી શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પૂજામાં માત્ર 21 રૂપિયા આપીને ભક્તો વેદોક્ત વિધિ વિધાનથી શ્રીકૃષ્ણ ભગવાનની ચરણ પાદુકાનું પૂજન કરી શકે છે આ ઉપરાંત તેમને ઠાકોરજીને પ્રિય ઠોરની પ્રસાદી પણ આપવામાં આવે છે.

આકાશ ગંગા ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું

ભગવાન શ્રી વિષ્ણુના 24 અવતાર વિશે ભક્તો જ્ઞાન અને માહિતી મેળવી શકે તેના માટે પ્રાચીન લક્ષ્મીનારાયણ મંદિર ખાતે 24 અવતાર ગેલેરી તૈયાર કરાઈ છે. મંદિરની ઉપરની તરફ સમગ્ર આકાશ ગંગા લગાવીને આકાશગંગા અને તેના ગ્રહો વિશે માહિતી મેળવી શકાય તે રીતે આકાશ ગંગા ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

તીર્થ ધામમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

તીર્થમાં ધાર્મિક કાર્યક્રમો પણ અહર્નિશ ચાલી રહ્યા છે. શ્રીમદ ભાગવત ગીતાનું સંપૂર્ણ પઠન, સત્યનારાયણ ભગવાનની કથા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિયમિત યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ દરેક શનિ-રવિમાં ધાર્મિક આખ્યાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

હિરણ કપિલા અને સરસ્વતી નદીના કિનારે પ્રકૃતિના ખોળે વસેલા આ ધર્મ ક્ષેત્રમાં આવનાર ભક્તો કૃષ્ણ ભક્તિ અને પ્રકૃતિની સુંદરતામાં મંત્રમુગ્ધ થાય છે. ત્યારે અનેક મોટા સમૂહ વન ભોજન માટે પણ ગૌલોક ધામ તીર્થને પસંદ કરે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાઇ ડ્યુરેબલ ટેન્ટ તેમજ આર્ટિફિશિયલ ગ્રાસ લગાવીને વન ભોજન કરતા સમૂહ માટે વધારે સુલભ વાતાવરણ પૂરું પાડ્યું છે.

(With Input , Yogesh Joshi, Gir Somnath) 

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો