cyclone tauktae થી અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે ગુજરાત સરકારે આજે 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. મૂળ સહીત બાગાયતી પાકના વૃક્ષ ઉખડી ગયા હોય તેવા કિસ્સામા હેકટરદિઠ રૂપિયા એક લાખ, જ્યારે ઝાડ ઊભા હોય પણ પાક ખરી ગયો હોય તેવા કિસ્સામાં બે હેકટર દિઠ રૂપિયા 30,000ની સહાય તેમજ ઉનાળુ કૃષિ પાકોને થયેલા નુકસાન અંગે વધુમા વધુ બે હેક્ટરની મર્યાદામાં, હેક્ટર દિઠ રૂ. 20,000ની સહાય આપવાનુ નક્કી કરાયુ છે.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરાયો છે કે, તાઉ તે વાવાઝોડાગ્રસ્ત ( cyclone tauktae ) વિસ્તારમાં નુકસાન થયેલા ખેડૂતોને રાહત પેકેજના નાણા, એક સપ્તાહમાં તેમના બેંક ખાતામાં સીધા જમા કરી દેવામાં આવશે. ઉનાળુ પિયત પાક, બાગાયત પાકને 33 ટકાથી વધુ નુકસાન થયુ હોય તેમને આ કૃષિ રાહત પેકેજનો લાભ આપવામાં આવશે. નુકસાનીનો સર્વે આવતીકાલ સુધીમાં પુરો થઈ જવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમા ગત સપ્તાહે, ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિ કલાકે 220 કિ.મી. ઝડપે ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એમ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ હતી. આની સાથોસાથ રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયુ હતું.
તા. 17મી મેની રાત્રે ઉનાના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશેલું આ તાઉ’તે વાવાઝોડું કલાકના 220 કિ.મી.ની ઝડપે પવનની ગતિ સાથે ગુજરાતની મધ્યમાથી પસાર થઈને 18મી મે એ રાજસ્થાન તરફ ગયુ હતું. આ વાવાઝોડાએ ગુજરાતમાં ખેતી પાકો, મકાનો, પશુઓ તેમજ વીજળી, પાણી-પુરવઠો, રોડ-રસ્તા વગેરેને જે નુકસાન કર્યું.
વિજય રૂપાણીએ કહ્યું કે, ખાસ કરીને બાગાયતી પાકને જે વ્યાપક નુકસાન થયું છે તેમાંથી રાજ્યનો ખેડૂત ઝડપથી બેઠો થાય તે હેતુથી ઉનાળુ પિયત પાકોને ઉત્પાદન નુકસાન સહાય, બાગાયત પાકોમાં ફળ-ઝાડ પડી જવાથી નુકસાન સહાય સહિતની બાબતો આ ઉદારત્તમ એવા વાવાઝોડા કૃષિ રાહત પેકેજમાં આવરી લેવામાં આવી છે.
ગુજરાત સરકારે, તાઉ તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાઉ બાગાયતી વૃક્ષ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કે પછી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂપિયા એક લાખની સહાય આપવાનું જાહેર કર્યું છે. જેમાં બે હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
Published On - 9:58 pm, Wed, 26 May 21