GIRSOMNATH : હવે અમે તમને એક એવા પ્રદેશમાં લઈ જઈશું જ્યાં ઉનાળાની શરૂઆતમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટના છે ગીરસોમનાથના ગીરગઢડા પાસેની. જ્યાં સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યો જોઈને તમને લાગતું હશે કે ખરેખર અહીં વરસાદ પડ્યો હશે. પરંતુ એવું જરાય નથી. અહીં રાવલ સિંચાઈ કેનાલમાં ગાબડું પડતા 3 ગામના રાહદારીઓ અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. ધોમધખતા ઉનાળામાં પીવાના પાણીના પણ વલખાં હોય છે ત્યારે સિંચાઈ વિભાગની લાલિયાવાડીના કારણે હાલ પાણીનો બેરોકટોક વેડફાટ થઈ રહ્યો છે.ગીરગઢડાના વાવરડા, ઊમેદ અને પાતાપુરને જોડતા કાચા રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા છે. ખેડૂતોની ફરિયાદ છે કે વારંવાર સર્જાતી આવી પરિસ્થિતિ અંગે અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો.