ગુજરાતના( Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે નીતિ આયોગના(Niti Ayog) CEO પરમેશ્વરન ઐયરે (Parameswaran Iyer) ગાંધીનગરમાં બેઠક યોજી હતી. નીતિ આયોગના(Niti Ayog) CEO પરમેશ્વરન ઐયર ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજીને તેમણે કૃષિ, શિક્ષણ, હાઉસીંગ વગેરે વિભાગોની વિવિધ ફલેગશીપ યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. નીતિ આયોગના CEO એ સી.એમ. ડેશબોર્ડ તથા જનસંવાદ કેન્દ્રની ગતિવિધિઓ પ્રત્યક્ષ નિહાળી હતી. સી.એમ. ડેશબોર્ડ દ્વારા રાજ્ય સરકારના વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસ કાર્યો અને જનહિત કાર્યક્રમોનું રિયલ ટાઇમ મોનિટરીંગ ૩ હજાર જેટલા ઇન્ડીકેટર્સથી કરવામાં આવે છે તેનાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
આ ઉપરાંત રાજયમાં યોજનાકીય લાભ મેળવેલા લાભાર્થીઓના પ્રતિભાવ ફિડબેક મેળવવાના હેતુસર કાર્યરત જનસંવાદ કેન્દ્રની કાર્યપદ્ધતિની પણ પરમેશ્વરન ઐયરે પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની નીતિ આયોગના CEO ની બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમાર, કૃષિના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, નાણાં વિભાગના અગ્ર સચિવ જે.પી. ગુપ્તા, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર તથા આયોજન સચિવ અને હાઉસીંગ કમિશનર રાકેશ શંકર ઉપસ્થિત રહ્યા હતા. જયારે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા સચિવ અવંતિકા સિંઘે નીતિ આયોગના સી.ઇ.ઓ ને સી.એમ.ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રની કામગીરી તથા કાર્યપદ્ધતિની તલસ્પર્શી માહિતી આપી હતી.
Published On - 6:53 pm, Wed, 27 July 22