GANDHINAGAR : સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી માટે જાહેર કરેલા નવા પરિપત્ર સામે કૉંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે. કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે આક્ષેપ કર્યો કે- સરકારની કથની અને કરણી અલગ છે. સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડૂત દીઠ 91 મણ ચણા ખરીદવાની જાહેરાત કરી હતી. પરંતુ ચૂંટણી પૂરી થતા જ સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો. જેમાં ફક્ત 50 મણ ચણા ખરીદવાનો જ ઉલ્લેખ છે. ઠુમ્મરે આક્ષેપ કર્યો કે સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. જો ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ચણાની ખરીદી કરવામાં નહીં આવે તો તેઓ આપઘાત કરવા મજબૂર બનશે. ઠુમ્મરે દાવો કર્યો કે તેમના જ વિસ્તારમાં એક ખેડૂતે આપઘાત કરી લીધો છે.