Gandhinagar : રાજ્યમાં ફરી એક વાર એક સાથે 22 હજાર રેશનિંગ દુકાનદારો (Ration Shopkeepers) આંદોલનના માર્ગે ચડવાના મૂડમાં છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમે 22 હજાર રેશનિંગ દુકાનદારોને જાણ કર્યા વગર જ ટીડીએસ કાપવાની શરૂઆત કરી દીધી છે. નિગમ દ્વારા રેશનિંગ દુકાનદારોને કોઈ પગાર આપવામાં આવતો ન હોવા છતાં ટીડીએસ કાપવાની શરૂઆત કરતાં રેશનિંગ દુકાનદારોમાં રોષ વ્યાપ્યો છે.
એક તરફ રાજ્યનું અન્ન અને નાગરિક પુરવઠા નિગમ રેશનિંગ દુકાનદારોને પગાર નથી ચૂકવી રહ્યું, બીજી બાજુ વગર પગારે અનાજની બોરી દીઠ 3.75 ટકા ટીડીએસ કાપે છે. ત્યારે રાજ્યના 22 હજાર રેશનિંગ દુકાનદારોએ માંગ કરી છે કે અન્ય રાજ્યોમાં રેશનિંગ દુકાનદારોને પગાર ચૂકવવામાં આવે છે તેમ ગુજરાતમાં પણ પગાર ચૂકવાય. જો રેશનિંગ દુકાનદારોની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં તેઓ આંદોલનના માર્ગે ચડે તેવી શક્યતાઓ રહેલી છે.