Cyclone Tauktae: વલસાડના તિથલ નજીક દરિયાકિનારે 3 મૃતદેહ મળ્યા, લાપતા લોકોના મૃતદેહ હોવાની આશંકા

|

May 22, 2021 | 11:46 PM

જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વાવાઝોડા વખતે મુંબઈ નજીક બનેલી ઘટનામાં લાપતા લોકોના મૃતદેહ હોવાની આશંકા કરવામાં આવી રહી છે.

Cyclone Tauktaeએ ગુજરાત-મહારાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળી નાખ્યા છે. તોફાની વાવાઝોડાએ મોટાપાયે જાનમાલનું નુકસાન કર્યું છે. તોફાનમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે તો ઘણાની ભાળ હજુ સુધી મળી નથી તેવામાં વલસાડના તિથલ નજીક દરિયા કિનારે 3 અને 1 મૃતદેહ ડુંગરી નજીક મળી આવ્યો છે.

 

 

વલસાડ જિલ્લાના દરિયાકિનારેથી આજે 4 મૃતદેહો મળી આવ્યાના અહેવાલ સામે આવ્યા છે. વલસાડના તિથલ નજીક દરિયાકિનારે 3 મૃતદેહ મળ્યા છે. જેમાં 2 મૃતદેહ લાઈફ જેકેટ સાથે અને 1 મૃતદેહ લાઈફ જેકેટ વિના મળી આવ્યો છે.

 

અન્ય 1 મૃતદેહ ડુંગરી નજીક દરિયા કિનારેથી મળી આવ્યો છે. મૃતદેહો મળવાની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વાવાઝોડા વખતે મુંબઈ નજીક બનેલી ઘટનામાં લાપતા લોકોના મૃતદેહ હોવાની આશંકા કરવામાં આવી રહી છે.

 

તાઉ તે પર એક નજર

તાઉ તે વાવાઝોડુ 28 કલાક સુધી ગુજરાતને ધમરોળતુ રહ્યું હતું. વાવાઝોડાને કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં કુલ 1200 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જે પૈકી 1100 રસ્તાઓ શરૂ કરી દેવાયા છે. જ્યારે બાકીના રસ્તાઓ બને તેટલી ઝડપી ચાલુ કરી દેવાશે.

 

તાઉ તે વાવાઝોડુ સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતને 28 કલાક ધમરોળતુ રહ્યું હોવાનું જણાવીને મુખ્યપ્રધાને કહ્યું કે ગીર સોમાનાથ જિલ્લાના ઊના પાસેથી 17મી મેના રાત્રીના સાડા આઠ વાગે ગુજરાતમાં પ્રવેશ્યુ ત્યારે તાઉ તે વાવાઝોડાથી ફુંકાતા પવનની ઝડપ 175 કિ.મી. પ્રતિ કલાકની હતી.

 

ત્યારબાદ તાઉ તે વાવાઝોડુ ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં 28 કલાક સુધી તબાહી મચાવતુ બનાસકાંઠાની સરહદથી ગુજરાત બહાર નબળુ પડીને પસાર થયુ.

 

મોબાઈલ નેટવર્કને અસર
તાઉ તે વાવાઝોડાથી ગુજરાતમાં વિવિધ મોબાઈલ કંપનીઓના 2100 જેટલા ક્રીટીકલ મોબાઈલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા. જેમાંથી 1500 જેટલા મોબાઈલ ટાવર ચાલુ કરી દઈને મોબાઈલ નેટવર્ક શરૂ કરી દેવાયુ છે. જ્યારે બાકીના ધ્વસ્ત થયેલા મોબાઈલ ટાવર ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

 

વીજ ક્ષેત્રે નુકસાન
વાવાઝોડાના કારણે 66 કિલોવોટની ક્ષમતાના 219 સબસ્ટેશન અસરગ્રસ્ત પામ્યા હતા, તે પૈકી 152 સબસ્ટેશન પુન:ચાલુ કરાયા છે. બાકીના સબસ્ટેશન પણ ચાલુ કરી દેવા માટે વીજ કંપનીના કર્મચારીઓ રાત દિવસ એક કરી રહ્યાં હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું.

 

કેશડોલ્સની ચૂકવણી

આજે ગુજરાત સરકારની કોર કમિટિમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, આવતીકાલ 20મી મે ગુરૂવારથી જ તાઉ તે વાવાઝોડાને કારણે જેમને સ્થળાંતર કરાવવું પડ્યુ હતું, તેવી વ્યક્તિઓને કેશડોલ આપવાનું પણ શરૂ કરવામાં આવશે.

 

સ્થળાંતરીત થયેલા અસરગ્ર્સ્ત વિસ્તારના પુખ્તવયની વ્યક્તિને રોજના 100 લેખે સાત દિવસના 700 ચૂકવાશે. જ્યારે બાળકોને 60 રૂપિયા લેખે 420 રૂપિયા ચૂકવાશે. જે લોકોને 16 અને 17મી મેના રોજ સ્થળાંતર કરાવ્યુ છે, તેમને સાત દિવસ અને 18મીએ સ્થળાંતર કર્યુ હશે તેમને ત્રણ દિવસની કેશડોલ્સ ચૂકવાશે.

Published On - 11:44 pm, Sat, 22 May 21

Next Video