પોરબંદરના માધવપુરના દરિયા કિનારે ‘તોક તે’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને પોલીસના જવાનોને દરિયા કાંઠે તૈનાત કરાયા છે, તેમજ સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે.
અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ છે, નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા તંત્રની તૈયારીઓ ચાલી રહી છે. દરિયાકિનારાના 30 જેટલા ગામોને સાવચેત રખાયા છે. પોરબંદરજિલ્લા અને ગ્રામ્ય કુલ વિસ્તારમાંથી 2 હજાર લોકોનું સ્થળાંતર આવ્યું છે તો જિલ્લાભરમાંથી કુલ 7 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાશે.
માધવપુરના દરિયાકિનારેથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદરમાં રાહત અને બચાવ માટે NDRFની કુલ 3 કંપની અને SDRFની 1 કંપની તૈનાત કરવામાં આવી છે. હાલમાં પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ છે, જો કે દરિયામાં હળવો કરંટ હોવાને લઈને સમુદ્રમાં 1થી 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. પોરબંદર ચોપાટી અને સમુદ્ર તટ પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે. હાલમાં પોરબંદરમાં ફિશિંગ બોટનો ખડકલો થયો છે.
5 હજાર જેટલી બોટ પોરબંદરના બંદરે લાંગરવામાં આવી છે. તાઉ તે વાવાઝોડાના સંકટને જોતા તમામ બોટ બંદર પર લંગારવામાં આવી છે. 18 મેના રોજ વાવાઝોડું પોરબંદર અને મહુવાના દરિયાકાંઠાને પસાર કરશે તેવી આગાહી IMD દ્વારા આપવામાં આવી છે. પહેલા પોરબંદર અને નલિયા વચ્ચે ત્રાટકવાનું હતું વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે 150 થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.