Cyclone Tauktae in Amreli: રાજ્યભરમાં ધીમે ધીમે ‘તાઉ તે’નું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને પ્રભાવિત વિસ્તારોમાંથી નાની મોટી નુકસાનીના સમાચારો પણ શરૂ થઈ ગયા છે. સૌરાષ્ટ્રને ધમરોળવા ચક્રવાત તોફાને ચડ્યું છે. તેવામાં અમરેલીના જાફરાબાદના શિયાલબેટ ટાપુ નજીક લાંગરેલી 3 બોટ તણાઈ ગઈ છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા તણાયેલી 3 બોટ તૂટી પડી હતી.
ધીમે ધીમે ચક્રવાત પોતાનું જોર વધારી રહ્યું છે. રાજુલા બાદ જાફરાબાદમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ મહા સંકટને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સાથે સાથે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે અને સુરક્ષાની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
શું છે હાલની સ્થિતિ?
તાઉ તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટકશે અને કાંઠાના વિસ્તારને ઘમરોળશે તે પહેલા સીએમ રૂપાણીએ વાવાઝોડા મુદ્દે માહિતી આપી છે કે સાંજે 8 વાગ્યા પછી વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તમામ સંભાવનાને આધિન તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.