Cyclone Tauktae Updates: અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

|

May 18, 2021 | 1:34 PM

વાવાઝોડુ મધ્ય ગુજરાતમાંથી પસાર થવાની હવામાન વિભાગની આગાહી છે. સાથે જ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમા ઉદભવેલા તાઉ તે વાવાઝોડુ 17 મીને રાત્રે દિવ-ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટક્યુ હતું. હાલ તે અમદાવાદ તરફ આવી રહ્યું છે. વાવાઝોડુ મધ્ય ગુજરાતમાંથી પસાર થવાની હવામાન વિભાગની આગાહી છે. સાથે જ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલથી વાવાઝોડાનું સંકટ ઘટી જશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

આજે સીએમ રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. જેમાં તેમણે દરિયા કિનારાના 14 જિલ્લામાં વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી. સીએમ રૂપાણીએ કહ્યું કે અત્યારે પણ કેટલાંક વિસ્તારમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય છે. પવન અમદાવાદ તરફ આવી રહ્યો છે. હજુ આજ રાત સુધી તકેદારી રાખવાની જરૂર છે.

તેમણે કહ્યું કે, વાવાઝોડામાં 3 લોકોનાં મોત થયા છે. વાપી ખાતે 1, રાજકોટ જિલ્લામાં 1 બાળક અને ગારિયાધારમાં 80 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. પરંતુ વહીવટી તંત્રના એડવાન્સ પ્લાનિંગના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી.

રાજ્યમાં ક્યાંય મોટી જાનહાનિ નથી થઈ. કુલ 2 હજાર 437 ગામમાં વીજ પુરવઠો કપાયો છે, જેમાં 484 ગામમાં પુરવઠો ચાલુ થઈ ગયો છે. વીજળીના 1 હજાર 81 થાંભલા પડી ગયા છે. 196 રસ્તા બંધ થઈ ગયા છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. 16 હજાર 500 કાચા મકાનો અસરગ્રસ્ત થયા છે. નુક્સાન કેટલું થયું તેનો સર્વે હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. બગસરામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ થયો છે.

Next Video