Corona lockdown: કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા સરકારને સુચન કરવામા્ં આવ્યું છે કે દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવાની જરૂરિયાત છે. સંક્રમણની ચેન તોડવા 15 દિવસનું લોકડાઉન જરૂરી છે. કોવિડ ટાસ્ક ફોર્સમાં એઈમ્સ અને ICMRના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાની બીજી લહેરની પીક આવવાની હજી બાકી છે કે જેને લઈને લોકો નિયમ પાળે તો મેના અંતમાં બીજી લહેરમાંથી બહાર આવીશું.
મે મહિનાના બીજા અઠવાડિયામાં પીક આવવાની શક્યતા છે. દેશમાં રોજ 5થી 6 લાખ કોરોના કેસ સામે આવી શકે છે. લોકો નિયમો નહીં પાળે તો બીજી લહેર લાંબી ચાલે તેવી આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે. તેમણે એમ પણ જણાવ્યું કે હાલમાં દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ઓડિશામાં સંપૂર્ણ લૉકડાઉન લાગી ગયું છે,
મહારાષ્ટ્ર અને પંજાબમાં મિની લૉકડાઉન લાગુ કરાયું છે જ્યારે કે UPમાં વિકેન્ડ લૉકડાઉન અને MPમાં 7મે સુધી જનતા કર્ફ્યૂ લગાડી દેવામાં આવ્યો છે.
કોરોનાની બીજી લહેરને રોકવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને વેક્સીન પોલીસી પર બીજી વખત વિચાર કરવા માટે કહ્યું છે. કેન્દ્ર હાલ પોતે 50 ટકા વેક્સિન ખરીદે છે, બાકી 50 ટકા વેક્સિનને કંપનીઓ સીધી જ રાજ્યો અને ખાનગી સંસ્થાનોને વેચી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોમાં લોકોને જીવવાનો અધિકાર અને તેમાં સ્વાસ્થ્યનો અધિકાર સંકળાયેલો છે, તેને સ્પષ્ટ રીતે નુકસાન પહોંચાડી રહ્યાં છો.
કેન્દ્ર અને રાજ્ય કોરોનાનું સંક્રમણ રોકવા માટે લોકડાઉન લગાવવા પર સતત વિચાર કરી રહ્યાં છે. કોર્ટ નબળા તબક્કા પર પડનાર લોકડાઉનની સામાજિક-આર્થિક અસરથી વાકેફ છે. એવામાં જો સંક્રમણ રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવે છે તો એ પહેલા આ તબક્કાની જરૂરિયાતોને પુરી કરવા બાબતે ધ્યાન આપવું જોઈએ.
હોસ્પિટલ લોકલ આઈડી પ્રુફના નામે દર્દીઓને દાખલ કરવા અને જરૂરી દવાઓ આપવાથી ઈન્કાર ન કરે. કેન્દ્ર હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાના મુદ્દે બે સપ્તાહમાં નેશનલ પોલીસી બનાવે. આ પોલીસીને તમામ રાજ્યોએ માનવી પડશે. કેન્દ્ર વેક્સિન નિર્માતાઓને વ્યાજબી ભાવ કરવાનું કહે. તમામ વેક્સીન પોતે ખરીદે અને તે પછી રાજ્યો માટે તેનું એલોટમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે