Corona latest breaking: દેશમાં સતત હાહાકાર મચાવનારા કોરોનાની ગતિમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશ અને રાજ્યની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનાં કેસ તો ઘટી રહ્યા છે પણ સાથે મોતનો દર પણ ઓછો થયો છે. જો કે એમો મતલબ એ નથી કે દેશમાંથી કોરોના નાબુદ થવાની અણી પર છે.
કોરોનાનું જોખમ અને અન્ય અમુક રાજ્યમાં તેની પિક આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે જેને આધારે કોરોનાની તાકાતને અવગણી શકાય તેમ નથી. દેશનાં આંકડા પર નજર નાખીએ તો ગઇકાલે દેશમાં કોરોનાના નવા 3 લાખ 55 હજાર 680 કેસ નોંધાયા, એક જ દિવસમાં કોરોનાના 3,436 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો તો દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 3 લાખ 18 હજાર 761 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. જો કે દેશમાં હજુ પણ 34 લાખ 43 હજારથી વધારે કેસ સક્રિય છે.
મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં Corona ની બીજી લહેર ધીમી પડી રહી છે. જેમાં દેશમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતા મહારાષ્ટ્રના 12 જિલ્લામાં કોરોનાના ચેપમાં ઘટાડો થયો છે. પરંતુ બિહાર, હરિયાણા, હિમાચલ સહિતના ઘણા રાજ્યોએ સરકારની ચિંતા વધારી દીધી છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો Corona ના કેસ ઘટી રહ્યા છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દમણ અને દીવમાં દરરોજ કોરોના કેસ ઘટવાના સંકેત મળી રહ્યા છે.
મહારાષ્ટ્રના 12 જિલ્લામાં ઔરંગાબાદ, ધુલે, ભંડારા, ગોંડિયા, જલગાંવ, લાતૂર, મુંબઇ, નાંદેડ, નંદુરબાર, થાણે અને વશીમ જિલ્લામાં Corona ના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરીએ કહ્યું કે રિકવરી રેટ પણ જોવા મળી રહ્યો છે. જેમાં 2 મેના રોજ તે 78 ટકા હતો જ્યારે 3 મેના રોજ તે લગભગ 82 ટકા હતો. તેમણે કહ્યું કે આ પ્રારંભિક રિકવરી છે અને તેના પર સતત કામ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તકેદારી ઓછી કરવામાં આવે તો સુધારણાના સંકેતો ફરી એકવાર જોવા નહિ મળે.
કોરોનાના કપરાકાળ વચ્ચે ગુજરાત રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર છે. રાહતની વાત એ છે કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકેલો કોરોના હવે ધીમે ધીમે મંદ પડી રહ્યો છે અને પાછલા 14 દિવસ બાદ રાજ્યમાં 13 હજારથી ઓછા કેસ નોંધાયા છે.
પાછલા 11 દિવસથી રાજ્યમાં કોરોનાના 13 હજારથી વધુ કેસ નોંધાતા હતા જોકે પાછલા 24 કલાકમાં રાજ્યમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 140 દર્દીઓના મોત થયા…નવા મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 7,648 પર પહોંચ્યો છે તો 11,999 દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4 લાખ 52 હજાર 275 પર પહોંચ્યો છે જોકે રાજ્યમાં હજુ પણ 1 લાખ 47 હજાર 499 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 747 પર પહોંચી છે.