
જામનગર મહાનગરપાલિકાએ પાણી વેરો અને મિલકત વેરો ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. લાંબા સમયથી બાકી રહેલા વેરા વસૂલ કરવા માટે મનપાએ કડક વલણ અપનાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, અનેક વખત નોટિસ આપ્યા છતાં કેટલાક મિલકતધારકો દ્વારા વેરો ભરવામાં આવ્યો નથી, જેના કારણે હવે સીધી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ જામનગરમાં મનપાએ મારૂતીનગર વિસ્તારમાં ખાસ અભિયાન હાથ ધરી 450 જેટલા પાણીના નળ કનેક્શન બંધ કરી દીધા છે. આ ઉપરાંત શહેરની અંદાજે 40 સોસાયટીઓમાં 4 હજારથી વધુ મિલકતધારકોએ હજુ સુધી પાણી વેરો અને મિલકત વેરો ભર્યો નથી. મનપાના જણાવ્યા મુજબ, વેરો ન ભરનારાઓને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી, છતાં પણ કોઈ પ્રતિસાદ ન મળતા હવે સપ્લાય બંધ કરવાની કાર્યવાહી કરાઈ છે.
મનપાના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી બાકી વેરો ભરવામાં નહીં આવે ત્યાં સુધી પાણી સપ્લાય શરૂ કરવામાં નહીં આવે. જરૂર પડશે તો કાયદેસરની પ્રક્રિયા હેઠળ મિલકત જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. મનપાનું કહેવું છે કે શહેરના વિકાસ માટે વેરો ભરવો જરૂરી છે અને બાકીદારો સામે આગળ પણ આવું અભિયાન ચાલુ રહેશે.
મનપા દ્વારા આવનારા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી કાર્યવાહી થઈ શકે છે. બાકીદાર મિલકતધારકોની યાદી તૈયાર કરી તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે. મનપા કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે દંડ અને કાર્યવાહીથી બચવા માટે તાત્કાલિક બાકી વેરો ભરી દે અને શહેરના વિકાસમાં સહકાર આપે.
Published On - 12:41 pm, Tue, 17 March 26