
અમદાવાદ: વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં 38 દોષિતોને વિશેષ અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી ફાંસીની સજાને યથાવત્ રાખી છે. હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને મંજૂરી આપતાં રાજ્ય સરકારની અરજી તેમજ દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોનું સંયુક્ત રીતે નિરાકરણ કર્યું છે.
અમદાવાદની વિશેષ અદાલતે અગાઉ આ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, કાયદાકીય જોગવાઈઓ મુજબ નીચલી અદાલત દ્વારા અપાયેલી ફાંસીની સજા હાઈકોર્ટ દ્વારા મંજૂર ન થાય ત્યાં સુધી તેનો અમલ થઈ શકતો નથી. આ કેસની ગંભીરતા અને વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે વિશેષ બેન્ચની રચના કરી હતી. માર્ચ 2025થી આ મામલે દૈનિક ધોરણે (ડેઇલી બેઝિસ પર) સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા 38 દોષિતોની ફાંસીની સજા મંજૂર કરવા કરાયેલી અરજી અને દોષિતો દ્વારા તેમની સજા સામે કરવામાં આવેલી અપીલોને સંયુક્ત રીતે સાંભળી અંતિમ ચુકાદો જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં અમદાવાદ શહેરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા, જેને દેશના સૌથી ભયાનક આતંકી હુમલાઓમાંનો એક માનવામાં આવે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 11:23 am, Tue, 7 July 26