Bhavnagar: રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન (Career guidance) અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કૃષિ અને પશુપાલન વિભાગનાં સહયોગમાં “નવી દિશા- નવું ફલક” અંગે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. વાઘાવાડી રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ કારકિર્દી અંગેના કાર્યક્રમની શરૂઆત કરાવતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે છેલ્લાં 25 વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરીને રાજ્યમાં શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરીને વિશ્વ ફલક સુધી જવાના દ્વાર યુવા પેઢી માટે ખોલી આપ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવની શ્રૃંખલાને કારણે શિક્ષણ માટેની ભૂખ સમાજમાં ઉભી થઇ છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આજે રાજ્યમાં શિક્ષણના વધેલાં ફલકનો લાભ લઈને રાજ્યમાં યુવાનો ડિજિટલ દુનિયાના સથવારે નવા સ્વરૂપે સમાજ સામે આવે તેવા પ્રયત્નો રાજ્ય સરકારે કર્યા છે. આ માટે શિક્ષણ વિભાગ કારકિર્દી નિર્માણ અને દુનિયામાં આવતી નવી વસ્તુઓના ઉમેરાં સાથે નવાં પોર્ટલની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત પણ શિક્ષણ મંત્રીએ કરી હતી. આજની યુવાપેઢીમાં સામર્થ્યની કોઈ ઉણપ નથી તેમ જણાવી તેમણે કહ્યું કે, અત્યારે રાજ્યની 8 મહાનગરપાલિકામાં આ સેમિનારનું પ્રસારણ થઇ રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના 249 તાલુકાઓમાં કારકિર્દી સેમિનારોમાં તજજ્ઞ વક્તાઓ માર્ગદર્શન આપવાનાં છે.
શ્રમ અને રોજગાર, પશુપાલન વગેરે વિભાગોના સંકલન સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર ઉમરે સાચી દિશા પકડી શકાય તેનું સાચું અને યોગ્ય માર્ગદર્શન આવાં સેમિનારોથી મળે છે. ભૂતકાળમાં આવાં સાચા માર્ગદર્શનને પરિણામે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની યોગ્ય કારકિર્દી પસંદ કરી શક્યાં નહોતાં. હવે આ વાત ભૂતકાળ બની રહેવાની છે. વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દીની પસંદગી ન થવાથી ભવિષ્યમાં કોઈ વસવસો રહે નહીં તે માટે નિષ્ણાતો સાથે સંવાદ થાય તેવું વ્યાપક આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે. જાણીતા વક્તા શૈલેષભાઇ સગપરીયાએ જણાવ્યું કે, કારકિર્દીની ટોચ પર પહોંચવું હોય તો તે માટે પસંદગીનું ક્ષેત્ર પસંદ કરવું પડે. દુનિયા ગમે તે કહે પરંતું તમે તમારા પસંદગીના ક્ષેત્રમાં જશો તો તમે ચમકી જશો. તમે તમારી રસ અને ઋચી મુજબનું ક્ષેત્ર પસંદ કરો અને તમારી જાતને પ્રચંડ પુરુષાર્થ સાથે જોડી દેશો તો સફળતા તમારા કદમ ચૂમશે.
Published On - 6:51 pm, Thu, 26 May 22