BHAVNAGAR : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાંથી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ પડવાની મોટી ઘટના સામે આવી છે. ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ ધરાશાયી થઇ ગયું છે. શાળાનું બિલ્ડીંગ પડવાની આ ઘટનામાં હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. મળતી માહિતી મૂજબ આ શાળાના આચાર્યએ શાળાના બિલ્ડીંગની ખરાબ સ્થિતિ અંગે અગાઉ જાણકારી આપી હતી. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
શાળાના આચાર્ય દ્વારા જર્જરિત શાળા બાબતે અનેકવાર કરાઇ હતી રજુઆત, રજુઆતનું પરિણામ શુન્ય
ભાવનગરના ઉમરાળાના ઠોંડા ગામે પ્રાથમિક શાળા તૂટી પડી. સદનસીબે પ્રાથમિક શાળા બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ શાળા ધરાશાયી થવા મુદ્દે શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી. શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને જર્જરિત શાળાનું સમારકામ કરવા અંગે વારંવાર રજૂઆત કરાઈ હતી. આમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. પ્રાથમિક શાળામાં ભણતા ભૂલકાઓની સુરક્ષાની જાણે તંત્રને કોઈ ચિંતા જ નથી. આ બેદરકારી બદલ શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે સમય બતાવશે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ નિવારવી હોય તો દોષિતો સામે કડક પગલા લેવાવા જોઈએ તેવી ઠોંડા ગામના લોકોની માગણી છે.
Published On - 12:49 pm, Fri, 10 December 21