ગુજરાતમાં ગત સપ્તાહે આવેલા વિનાશક તાઉ તે વાવાઝોડાને ( Tauktae Cyclone ) કારણે, ભાવનગર જિલ્લાના મહુવા ( MAHUVA ) પંથકના ડુંગળીના વ્યવસાય ( Onion-based business ) સાથે જોડાયેલાઓને રૂપિયા 300 કરોડનું નુકસાન થયુ છે. 150 કિલોમીટરથી વધુ ઝડપે ફુંકાયેલા પવનને કારણે, કાચા પાકા અનેક મકાન, વૃક્ષ, વીજ થાંભલાઓને પત્તાના મહેલની માફક તોડી નાખ્યા હતા. તો ડીહાઈડ્રેશન અને કોલ્ડ સ્ટોરેજના ( Dehydration and cold storage ) વ્યવસાય સાથે સંકળાયેલા ઓનીયન ફૂડ ઇન્સ્ટ્રીઝને પારાવાર નુકસાન થવા પામ્યુ છે.
મહુવામાં વિકસ્યો છે ડુંગળીનો વ્યવસાય
ભાવનગર જિલ્લામાં જે રીતે અલંગ શિપબ્રેકીંગ યાર્ડ, શિહોરમાં રોલિંગ મિલ અને ભાવનગરમાં ડાયમંડ ઉદ્યોગ મોટા પ્રમાણમાં છે. તેવી જ રીતે મહુવામાં ડુંગળીનુ વિશાળપાયે ઉત્પાદન થઈ રહ્યુ હોવાથી, ડુંગળીના ડીહાઈડ્રેશન અને તેને સંલગ્ન કોલ્ડ સ્ટોરેજનો વ્યવસાય મોટા પાયે વિકસ્યો છે. આ વ્યસાયમાં વર્ષે દહાડે રૂપિયા 1 હજાર કરોડનું ટ્રાન્જેક્શન થાય છે.
મોટા ભાગનું ડુંગળીમાંથી ડીહાઈડ્રેટ કરીને બનતી બનાવટના 90 ટકાથી વધારે બનાવટનું વિદેશમાં નિકાસ થાય છે. મહુવામાં નાના મોટા 125થી વધારે ઓનિયન ડિહાઈડ્રેશન પ્લાન્ટ છે. જ્યારે 50 થી વધારે કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. આ ઇન્સ્ટ્રીઝ ખેડૂતો, મજૂરો, એજન્ટો, પ્લાન્ટના માલિકો સહિત 1 લાખથી વધારે લોકોની રોજગારીનું સાધન છે.
300 કરોડનું નુકસાન
તાઉ તે વાવાઝોડાને લઈને મહુવાની આ ઓનીયન ફૂડ ઇન્સ્ટ્રીઝને 300 કરોડથી વધારે રૂપિયાનું નુકશાન થવા પામેલ છે. જેમાં 125 કરોડનો કોલ્ડ સ્ટોરેજમાં માલ પલળી જવા પામેલ છે. 75થી 100 કરોડની કિંમતના 15 લાખ ડુંગળીના થેલા, વાવાઝોડાને કારણે વરસેલા અતિભારે વરસાદમાં પલળી જતા ડુંગળીનો કાચોમાલ ખરાબ થઈ ગયો છે.
કોલ્ડ સ્ટોરેજ ડીહાઈડ્રેશન પ્લાન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે પવનના લીધે 75 કરોડનું નુકશાન થવા પામેલ છે. જેને લઈને આ પ્લાન્ટના અને કોલ્ડ સ્ટોરેજના માલિકો પાયમાલ થઈ જવા પામેલ છે. આ સિવાય અનેક ખેડૂતોની ડુંગળી પલળી જતા ખેડૂતો પણ પાયમાલ થઈ જવા પામેલ છે. અનેક લોકોની રોજી રોટી આ વ્યવસાય સાથે જોડાયેલી હોય મહુવા માં અનેક લોકો હાલ પૂરતાતો બેરોજગાર થઈ જવા પામેલ છે.
વીજ પ્રવાહ મળે તો નુકસાન ઘટી શકે
તાઉ તે વાવાઝોડા વેરેલા વિનાશ હવે નજરે ચડી રહ્યો છે. મહુવામાં જ્યાં જુવો ત્યાં ઓનીયન પ્લાન્ટના પતરાઓ, ખુલ્લા પડેલા કોલ્ડ સ્ટોરેજ અને પલળી ગયેલી ડુંગળી જ નજર પડે છે. આ સિવાય જ્યાં જુઓ ત્યાં વીજ થાંભલાઓ પડી ગયેલા જોવા મળે છે. કરોડો રૂપિયાની કિમતનો કાચો માલ અને કોલ્ડ સ્ટોરેજમાં પડેલ પાકા માલને વીજળીના અભાવે ખરાબ થઈ રહ્યો છે.
વીજ પ્રવાહ બંધ હોવાથી નથી કોલ્ડ સ્ટોરેજ શરૂ થઈ શકે તેમ કે નથી ડીહાઈડ્રેશન પ્લાન્ટ શરૂ કરી શકાતા. જો ઊર્જા વિભાગ આગામી 4 થી 5 દિવસમાં મહુવા ક્ષેત્રે વીજ પ્રવાહ પૂર્વવત કરી આપે તો, વરસાદમાં પલળી ગયેલો કાચો માલ હજુ પણ જરૂરી પ્રોસેસ કરીને વેલ્યુ એડીશન અને નુકશાની ઘટી શકે તેમ છે અને જો વિજપ્રવાહ શરૂ નહીં થાય તો નુકશાની નો આંકડો હજુ વધી શકે તેમ છે.
રાહત પેકેજમાં સમાવવા સાથે વીમા કંપની ઝડપથી નાણાં ચૂકવે
ઓનીયન ફૂડ ઇન્સ્ટ્રીઝ સાથે સંકળાયેલા વેપારીઓની માંગ છે કે, જો ગુજરાત સરકાર દ્વારા આ ઇન્ડસ્ટ્રીઝને રાહત પેકેજ આપવામાં આવે અને વીમા કંપનીઓ તાકીદે સર્વે કરીને અસર ગ્રસ્તોને વીમા વળતર આપે તો થોડી રાહત થઈ શકે અને તે નાણાંથી ફરી આ ઉદ્યોગને ધમધમતો કરી શકાય.
સરકારના પ્રતિનિધિ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લે
જે રીતે મુખ્યપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી તે જ રીતે સરકારના પ્રતિનિધિને મહુવા સહીત અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મોકલવા જોઈએ. જેથી નુકસાનનો સાચો આંકડો સામે આવે અને કોઈપણ ક્ષેત્ર યોગ્ય રાહત વિના રહી ના જાય.