Bhavnagar : ગુજરાતના અનેક વિસ્તારમાં આ વર્ષે ચોમાસુ સમયસર શરૂ થઈ જવા પામેલ છે. ત્યારે ભાવનગરમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રી મોન્સૂન (Pre-monsoon) કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામેલ છે
એક જ દિવસમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ઘૂસવાની ઘટનાઓ સામે આવી હતી.
. જ્યારે વિપક્ષે પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ પણ કર્યા છે.ભાવનગર શહેરમાં દર ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા હોય જ છે. ત્યારે આ વખતે ચોમાસુ સમયસર શરૂ થતાં અને હજુ ચોમાસુ બેસે તે પહેલા જ 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસી જતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જેમાં કુંભારવાડા, બોરતળાવ રોડ, રેલવે સ્ટેશન, અને તલાવડી જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમાં પણ રેલવે સ્ટેશન નજીકના વિસ્તાર નીચાણવાળો હોવાને લીધે તે વિસ્તારમાં ભારે પાણી ભરાવવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
ત્યારે સવાલ એ છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શું માત્ર કાગળ પર જ થઈ હતી, દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી આજ રીતે થાય છે અને લાખો રૂપિયા લોકોને ચોમાસામાં મુશ્કેલી ના પડે તે માટે ખર્ચ કરવામાં આવે છે ત્યારે સવાલ એ છે કે પ્રી મોન્સૂનમાં 35 લાખથી વધારે દર વર્ષે ખર્ચાય છે તો આટલી રકમ પ્રી મોન્સૂનમાં ક્યાં વપરાણી અને વપરાઇ તો આટલા વરસાદમાં પાણી કેમ ભરાયા.
આ અંગે મેયર ને પૂછતાં તેમણે જણાવેલ કે પ્રી મોન્સૂન કામગીરી બરોબર થઈ છે. અમુક જગ્યાઓ પર પાણી ભરાવવાની ફરિયાદ આવી છે ત્યાં કામગીરી કરાશે, જોકે વિરોધપક્ષના નેતાએ ભાજપના શાસકો પર પ્રી મોન્સૂનના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને આ અંગે તે કમિશનરને સોમવારે મળીને આવા વિસ્તારોમાં કામગીરી તાત્કાલિક શરૂ કરવા રજુઆત કરશે.